Homeગુજરાતીગુજરાતવાવ અને સુઈગામના 22 ગામોના ખેડૂતોએ કેનાલના અધૂરા કામ અંગે રજુઆત કરી

વાવ અને સુઈગામના 22 ગામોના ખેડૂતોએ કેનાલના અધૂરા કામ અંગે રજુઆત કરી

  • ખેડુતોએ થરાદની નર્મદા નિગમની કચેરી કરી રજુઆત,
  • કેનાલની આજુબાજુ રસ્તો બનાવવા માગ,
  • કેનાલના અધૂરા કામો સત્વરે પૂરા કરવા અધિકારીઓએ આપી હૈયાધારણ

પાલનપુરઃ બનાસકાંઠા અને થરાદ વિસ્તારમાં નર્મદાની પેટા તેમજ સબપેટા કેનાલોના કામ હજુ બાકી છે. ત્યારે સિંચાઈનો લાભ ન મળતા વાવ અને સુઈગામ તાલુકાના 22 ગામોના ખેડૂતોએ થરાદ નર્મદા નિગમ કચેરી ખાતે રજૂઆત કરી હતી. ખેડૂતોની મુખ્ય માગણી સુઈગામ કેનાલનું અધૂરું કામ ઝડપથી પૂર્ણ કરવાની છે.

નર્મદાની મુખ્ય કેનાલમાંથી નીકળતી માઈનોર કેનાલોની કામગીરી હાલ બંધ છે. જે કામગીરી ચાલુ છે તે ધીમી ગતિએ આગળ વધી રહી છે. જેના લીધે 22 ગામોના ખેડૂતોને ખેતી માટે સમયસર પાણી મળતું નથી. વાવ તાલુકાના દેવપુરા, ભડવેલ, ધરાદરા, દેથળી, જાનાવાડા, ભાણખોળ, સવપુરા, વાછરડા, રામપુરા, બાઇસરા અને ઈશ્વરીયા ગામો અસરગ્રસ્ત છે. તેમજ સુઈગામ તાલુકાના ખડોલ, કુંભારખા, સેડવ, બેણપ, સુઈગામ, દુધવા, મસાલી, લીંબુણી, માધપુરા, મેઘપુરા અને જલોયા ગામો પણ પ્રભાવિત છે.

ખેડૂતોએ નર્મદા નિગમના મુખ્ય અધિકારી હર્ષદ રાઠોડને 22 ગામના ખેડૂતોએ મૌખિક રજૂઆત કરી હતી. ખેડુતોની  માગણીઓમાં હૈયાત કેનાલોમાં સમયસર પાણી છોડવું, ભારતમાળા રોડ નીચેથી માઈનોર કેનાલ પસાર કરવી અને કેનાલની આજુબાજુ માટીકામ કરી રસ્તો બનાવવાનો સમાવેશ છે. નિગમના અધિકારીઓને ખેડૂતોએ ચેતવણી આપી હતી કે જો તેમની માગણીઓનો ઉકેલ નહીં આવે તો તેઓ ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆત કરશે. નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે, ખેડૂતોની રજૂઆતો સાંભળવામાં આવી છે અને તેમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા પ્રયત્નશીલ છે.

સંબંધિત લેખો

Most Popular