- એરપોર્ટ પર પેસેન્જર સ્ક્રીનીંગ પ્રોટોકોલ વધારવામાં આવ્યા,
- એરપોર્ટના પ્રવેશ અને બહાર નીકળવાના પોઈન્ટ્સ પર સુરક્ષા જવાનોની સંખ્યા વધારાઈ,
- પ્રવાસીઓને ફ્લાઇટના સમય પહેલાં પહોંચવા અપીલ કરાઈ
અમદાવાદઃ દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટનાને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. એરપોર્ટ પર તમામ પ્રવાસીઓના લગેજનું સ્કેનિંગ દ્વારા ત્રિસ્તરિય ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટના પ્રવેશ દ્વાર તેમજ બહારના ગેટ પર પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટીએ પ્રવાસીઓને એરપોર્ટ પર વહેલા પહોંચવા માટે અપીલ કરી છે
અમદાવાદમાં સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય તેમજ ડોમેસ્ટીક એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. એરપોર્ટ પર હવે પ્રવાસીઓની સેફટી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. SVPIA દ્વારા પેસેન્જર સ્ક્રીનીંગ પ્રોટોકોલ વધારવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે પ્રવેશ અને બોર્ડિંગ પહેલાં મુસાફરોનું ચેકિંગ પહેલાં કરતાં વધુ સઘન અને કડક બનાવવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ ખાસ કરીને સંદિગ્ધ વસ્તુઓ અને વ્યક્તિઓને રોકવા અને પકડવા માટે સતત પ્રયાસ કરી રહી છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને બનતી અટકાવી શકાય. એરપોર્ટના તમામ પ્રવેશ અને બહાર નીકળવાના પોઈન્ટ્સ પર સુરક્ષા કર્મચારીઓની સંખ્યા અને તકેદારી વધારી દેવામાં આવી છે.
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દ્વારા પેસેન્જર એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. એડવાઇઝરીમાં સ્પષ્ટ જણાવાયું છે કે, વધેલા સુરક્ષા પગલાંને કારણે સમયનો વ્યય ન થાય તે માટે, મુસાફરોએ તેમની ફ્લાઇટના નિર્ધારિત શિડ્યુલ સમય પહેલાં જ એરપોર્ટ ઉપર પહોંચી જવું.પ્રવાસીઓને સલાહ આપવામાં આવી છે કે, તેઓ તેમના નિર્ધારિત પ્રસ્થાન સમય પહેલા પહોંચી જાય અને સુરક્ષા કર્મચારીઓને સહકાર આપે. અમારા મુસાફરો અને એરપોર્ટ કર્મચારીઓની સલામતી અને સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સુરક્ષા અને સેફટીને ધ્યાને રાખીને, એરપોર્ટ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓને પૂરો સહકાર આપે અને ચેકિંગ પ્રક્રિયા દરમિયાન ધીરજ જાળવી રાખે.


