
- ઘાસચારીથી અછતથી પશુપાલકો પરેશાન
- 12 રૂપિયે કિલોના ભાવે ઘાસચારો ખરીદવો પડે છે
- લખપત તાલુકાના માલધારીઓએ હીજરત કરીને ભૂજ નજીક ડેરા-તંબુ તાણ્યાં
ભૂજઃ કચ્છના માલધારીઓ દર ઉનાળામાં પોતાના માલ-ઢોર સાથે અન્ય વિસ્તારોમાં હીજરત કરતા હોય છે. અને ચોમાસા પહેલા કચ્છમાં પરત ફરતા હોય છે. ઉનાળામાં પશુપાલનનો નિભાવ ખૂબ મુશ્કેલભર્યો હોય છે. આ વખતે લખપત તાલુકાના માલધારીઓ ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. ગત વર્ષના કમોસમી વરસાદને કારણે કુદરતી ઘાસચારાનો સંપૂર્ણ નાશ થયો છે, જેના કારણે પશુપાલકો પોતાના ગૌધન સાથે અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.
લખપત તાલુકાના ઘણાબધા માલધારીઓએ પોતાના માલ-ઢોર સાથે ભૂજ નજીક મુકામ કર્યો છે. માલધારીઓના કહેવા મુજબ વર્તમાન સ્થિતિમાં ઘાસચારો કિલોદીઠ રૂ.10 અને તેના પરિવહન ખર્ચ રૂ.2 મળી કુલ રૂ.12ની કિંમતે ખરીદવો પડે છે, જે માલધારીઓ માટે પરવડે તેમ નથી. લખપતના બરંદા, ચામરાઈ, ચામરા, ભેખડો, છેલ્લા વાંઢ અને ખડક જેવા ગામોમાંથી હજારો ગાયો સાથે પશુપાલકો નખત્રાણા, ભુજ અને આસપાસના વિસ્તારોમાં સ્થળાંતર કરી ચૂક્યા છે.
લખપતના ભેખડો ગામના સ્થાનિક આરબ જતના કહેવા મુજબ, ગત ચોમાસામાં સારો વરસાદ થયો હતો, પરંતુ ત્યારબાદના અતિભારે કમોસમી વરસાદને લીધે સમગ્ર વિસ્તારના ઘાસચારાનો નાશ થયો હતો. આ જ કમોસમી વરસાદે લીલા દુષ્કાળની સ્થિતિ સર્જી હતી, જેમાં ભેદી બીમારીને કારણે કેટલાક પશુઓ મોતને ભેટ્યા હતા. હાલ પશુપાલકો પશુઓ સાથે હિજરત માટે તૈયારી કરી રહ્યા છે. સ્થાનિકોએ સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ પાસે પશુધન માટે ચારિયાણની વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેથી તેમના પશુઓનું જીવન બચાવી શકાય.