
- લાઠીના હાવતડ અને ઈંગોરાળા વચ્ચે રાતે સર્જાયો અકસ્માત
- દેવીપૂજક પરિવાર બાઈક પર દામનગર જતા અકસ્માતનો ભોગ બન્યો
- છકડાચાલકને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો
અમરેલીઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈ રાત્રે લાઠી તાલુકાના હાવતડ અને ઇંગોરાળા ગામ વચ્ચે છકડો રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ખારા ગામના બે યુવાન અને એક બાળકીનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જયારે છકડો રિક્ષા ચાલકને ગંભીર ઇજા થતાં અમરેલી સિવીલમા રીફર કરાયો છે.
અમરેલીના લાઠી તાલુકાના હાવતડ અને ઇગોરાળા વચ્ચે ગત રાત્રે છકડા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. મૃતકોમાં બે પુરૂષ અને એક બાળકીનો સમાવેશ થાય છે. મૃતકોની ડેડબોડીને દામનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, લાઠી તાલુકાના હાવતડ અને ઇંગોરાળા ગામ વચ્ચે છકડા અને બાઇક વચ્ચે ધડાકાભેર જોરદાર ટક્કર સર્જાઇ હતી. લીલીયા નજીક આવેલા ખારા ગામનો દેવીપુજક પરિવાર જગદીશભાઈ મોહનભાઈ વાઘેલા (ઉ.વ.25) દિનેશભાઈ મનુભાઇ વાઘેલા (ઉ.વ.33) અને દિનેશભાઈની બે વર્ષની પુત્રી રાજલ ત્રણ સવારી બાઇક પર દામનગર જવા નીકળ્યા હતા. આ દરમિયાન સામેથી આવી રહેલા છકડા-રિક્ષા સાથે ટક્કર સર્જાતા એક જ પરિવારના ત્રણેય સભ્યોનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે છકડા-રિક્ષા ચાલકને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ અકસ્માતની આ ઘટના રાત્રે પોણા આઠેક વાગ્યાના સુમારે લાઠીના હાવતડ અને ઇંગોરાળા ગામ વચ્ચે હાવતડ નજીક બની હતી. લીલીયા તાલુકાના ખારા ગામના દેવીપુજક પરિવારના જગદીશભાઈ મોહનભાઈ વાઘેલા (ઉ.વ.25) દિનેશભાઈ મનુભાઇ વાઘેલા (ઉ.વ.33) અને દિનેશભાઈની બે વર્ષની પુત્રી રાજલ એમ ત્રણ વ્યકિત મોટર સાયકલ લઇ દામનગર જવા નીકળ્યા હતા. તેઓ જયારે હાવતડથી આગળ જઇ રહ્યાં હતા ત્યારે સામેથી આવી રહેલી છકડો રિક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા છકડો પણ રોડ પર પલટી ખાઇ ગયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોની ડેડબોડીને પી.એમ. અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.