જામનગર, 29 એપ્રિલ 2026: Two bikers die after truck hits bike રાજકોટ-જામનગર હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ધ્રોળ યાર્ડ પાસે મોડી રાત્રે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો હતો. ટ્રકની જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર બે સાધુઓનાં મોત નિપજ્યાં હતા. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, રાજકોટ – જામનગર હાઈવે પર ધ્રોળ માર્કેટિંગ યાર્ડ નજીક મોડી રાત્રે આશરે અઢી વાગ્યાના આસપાસ ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામે આવેલા ચૈતન્ય હનુમાનજી મંદિરમાં સેવા પૂજા કરતા સાધુ બ્રિજેન્દ્રમુની સુખસમુનીજી પોતાનો મોટરસાયકલ નંબર જી.જે.36 કે.2482 લઈને પોતાની સાથે જ સેવાપૂજા કરતા ચંદ્રપાલ ઉર્ફે ચંદનમુની ધર્મસિંહ સાથે પસાર થઈ રહ્યા હતા. ત્યારે જી.જે.12 સી.ટી.1254 નંબરના ટ્રકના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને બેફીકરાઈથી હંકારતા બાઈકને જોરદાર ઠોકર મારતા બન્ને સાધુ રોડ પર પટકાયા હતા.
આ અકસ્માતમાં બંને સાધુઓને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચંદ્રપાલ ઉર્ફે ચંદનમુનીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે બ્રિજેન્દ્રમુનીને વધુ સારવાર માટે જામનગર રીફર કરવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં તેમનું પણ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે ધ્રોળ પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક સામે ભારતીય દંડ સંહિતાની કલમ 279 (બેફીકરાઈથી વાહન હંકારવું), 304(અ) (બેદરકારીથી મોત નિપજાવવું), 337 અને 338 (ઇજા અને ગંભીર ઇજા પહોંચાડવી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 134(અ)(બ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી પુરાવા એકત્રિત કર્યા છે, અને ફરાર ટ્રકચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.


