
ગાંધીનગરઃ ડીસાના બલોધર ખાતે આવેલા પાંજરાપોળમાં ઘાસચારો આરોગ્યા બાદ એક પછી એક એમ 36 જેટલી ગાય ટપોટપ મૃત્યુ પામતા ખળભળાટ મચી ગયો હતો. આ ગાયોના મોત ખોરાકી ઝેરની અસરથી થયાનું જાણવા મળે છે. પશુ ચિકિત્સકના જણાવ્યા પ્રમાણે ઉનાળાની ગરમીમાં બફારાના લીધે ઘાસચારામાં ઝેરની અસર થવાથી આ ગાયોના મોત થયા હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા તાલુકાના બલોઘર ગામ ખાતે આવેલી પાંજરાપોળમાં 270થી વધુ ગાયોની સંભાળ રાખવામાં આવી રહી છે. દરમિયાન સાંજના સમયે ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો. જેને ખાતાં નાની મોટી 36 ગાયોના ટપોટપ મોત થયા હતા. પાંજરાપોળ સંચાલકને આ અંગે સવારે જાણ થતાં તેમણે નાયમ પશુપાલક નિયામક, પશુચિકત્સા અધિકારીને કરતાં ટીમ ઘટનાસ્થળે આવી ગાયોનું પી.એમ કર્યું હતું અને 15 જેટલી ગાયોની સારવાર કરી જીવ બચાવ્યો હતો. મુત્યું પામેલી ગાયોને જે.સી.બી દ્વારા ખાડો ખોદી ભંડારવામાં આવી હતી. પશુ ચિકત્સા ડોક્ટરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે લીલો ઘાસચારો વાઢીને મૂકવામાં આવ્યો હતો જે બફારાના કારણે ઘાસચારો ઝેરી થઈ ગયો હતો. જે ખાવાથી ગાયોના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું.