
- વેપારીએ સાંસદને રજુઆત કરતા તાલમાપ અધિકારીને ફોન કર્યો,
- તોલમાપના અધિકારીઓ વેપારીઓને હેરાન કરી રહ્યા છે,
- સાંસદ મોકરિયાએ પ્રેસનોટ આપીને તોલમાપના અધિકારી સામે કર્યો આક્ષેપ
રાજકોટઃ ગુજરાતમાં સરકારી અધિકારીઓ બેફામ ભ્રષ્ટાચાર કરતા હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠતી હોય છે. ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ તોલમાપ ખાતાના અધિકારીના ભ્રષ્ટાચારને ખૂલ્લો પાડ્યો છે. એક વેપારીએ તોલમાપ વિભાગના અધિકારીની કનડગત અને રૂપિયા 25000નો તોડ કર્યાની સાંસદ મોકરિયાને રજુઆત કરતા મોકરિયાએ ફોન કરીને અધિકારી પાસેથી રૂપિયા 25000 વેપારીને પરત અપાવ્યા હતા. જોકે રામભાઈ મોકરિયા દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં ભ્રષ્ટ અધિકારીનું નામ જાહેર કર્યું નથી.
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ રાજકોટ તોલમાપ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે. સાંસદે કહ્યું હતું કે તેમના પરિચિત એક વેપારીને તોલમાપ વિભાગના અધિકારી હેરાન કરતા હોઈ, મને ફોન આવ્યો હતો, જેથી મેં કહ્યું હતું કે તમારે જે નિયમ મુજબ દંડનીય કાર્યવાહી થતી હોય એ કરો, પણ હેરાનગતિ ન કરતા. ત્યાર બાદ વેપારીનો મને ફોન આવ્યો હતો કે અધિકારીએ રૂ.12 હજારનો દંડ કર્યો છે. અને વધારાના 25 હજારનો તોડ કરી ગયા છે, જેથી સાંસદે તરત જ અધિકારીને ફોન કરી ખખડાવતાં અધિકારી દસ જ મિનિટમાં વેપારીને પૈસા પરત આપી આવ્યા હોવાની વાત કરી હતી. રામ મોકરિયાએ વેપારીઓને અપીલ કરી હતી કે તેમની પાસે કોઈ અધિકારી પૈસા માગે તો એસીબીમાં ફરિયાદ કરે અથવા લોકપ્રતિનિધિઓનું ધ્યાન દોરે. સાંસદે સ્વીકાર્યું હતું કે આ પ્રકારના અધિકારીઓ સામે ફરિયાદ કરતાં વેપારીઓ ડરતા હોય છે.
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે ગઈકાલે તા.3 જૂનને સાંજે પાંચ વાગ્યે રાજકોટના એક કારખાનેદાર એવા સામાજિક અગ્રણીનો મને ફોન આવ્યો હતો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને ચેક કરે છે. જેમના દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે, જેથી મેં તે ભાઈને કહ્યું કે તેમને ફોન આપો, જેથી તોલમાપ ખાતાના અધિકારીએ મારી સાથે વાત કરી, જેથી મેં તે અધિકારીને કહ્યું કે ધોરણસરનો દંડ થતો હોય એ લઈ લો, બાકી હેરાનગતિ ન કરતા. જેની દસ મિનિટ પછી વેપારીનો મને ફોન આવ્યો હતો કે આ ભાઈએ મારું કામ પતાવી દીધું છે અને રૂપિયા 12 હજાર દંડ કર્યો છે. એ બાદ મેં પૂછ્યું કે બીજા કોઈ પૈસા લીધેલા છે, જેથી તે વેપારીએ મને કહ્યું કે હા, રૂ. 25,000 લઈ ગયા છે, જેથી મેં તે અધિકારીને કહ્યું કે મેં તમને ફોન કર્યો હતો કે આ વેપારીને હેરાન ન કરતા છતાં તમે વધારાના પૈસા લીધા, જેથી તે અધિકારીએ કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ છે, જેથી મેં તમને કહ્યું કે તો તેમને પૈસા પાછા આપી દો. જેથી તે અધિકારીએ વેપારીને 10 મિનિટમાં પૈસા પાછા આપી દીધા હતા