
- રિએક્ટરના મેઇન્ટેનન્સ દરમિયાન બે કામદારનાં ગેસ ગળતરથી મોત નીપજ્યાં,
- બનાવની જાણ થતાં કોસંબા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી,
- પરપ્રાંતના મૃતક શ્રમિકો બે વર્ષથી કંપનીમાં નોકરી કરતા હતા
સુરતઃ શહેરના માંગરોળ તાલુકાના નાના બોરસરા નજીક આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં ટાંકીની સાફ સફાઈ માટે ઉતરેલા બે શ્રમિકોના ગેસથી ગુંગળાઈ જતા મોત નિપજ્યા હતા. રિએક્ટરના મેઇન્ટેનન્સ દરમિયાન આ ઘટના બની હતી. એક કામદાર બીજાને બચાવવા જતા બંને કાળને ભેટ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
સુરત જિલ્લાના માંગરોળના નાના બોરસરામાં ગેસ ગળતરના કારણે બે શ્રમિકોના મોત નીપજ્યા હતા. બન્ને શ્રમિકો કંપનીમાં ટાંકી સાફ કરવા માટે ઉતર્યા હતા, ત્યારે ગેસ ગળતરની દુર્ઘટના સર્જાઈ હતી. સમગ્ર મામલે કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ કોસંબા નજીક આવેલા નાના બોરસરા ગામની સીમમાં આવેલી મંગલમૂર્તિ બાયોકેમ કંપની પ્રાઈવેટ લિમિટેડમાં બે શ્રમિકોના મોતની ઘટના બની હતી, દવાઓના રો મટીરિયલ બનાવતી આ ફેક્ટરીમાં રીએક્ટર (ટાંકી) સાફ કરવા ઉતરેલા બે શ્રમિકોના ઝેરી ગેસના કારણે ગૂંગળામણથી મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ કંપનીમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કોસંબા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી
પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ‘અંકલેશ્વરની હોસ્પિટલમાંથી અમને બે કામદારોના મોત નીપજ્યા હોવાની જાણ થઈ હતી. જેમાં યુપી અને બિહારના બે કામદારુનું ગેસ ગુંગળામણની અસરથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. બન્ને મૃતક શ્રમિકોના નામ રાજન શર્મા અને રાજન સિંગ હોવાનું જાણવા મળ્યુ છે. બે શ્રમિકોને ઝેરી ગેસની અસર થતાં તાત્કાલિક અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ બંને શ્રમિકોના મોત નીપજ્યા હતા. બંને મૃતક કામદારો છેલ્લા 2 વર્ષથી કંપનીમાં કામ કરતાં હોવાનું સામે આવ્યું છે. ગેસ ગળતરની ઘટનાને લઈને કોસંબા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.