
દિલ્હીમાં ચાર માળની ઈમારત ધરાશાયી, બચાવ કામગીરી હાથ ધરાઈ
નવી દિલ્હીઃ દિલ્હીના વેલકમ વિસ્તારમાં જનતા મજૂર કોલોનીમાં એક ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાંથી 12 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનો એ રેક્યું ઓપરેશન હાથ ધરીને 6 લોકોને સુરક્ષિત કાટમાળ માંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલ ખસેડાયા છે જ્યારે 5 થી 6 લોકો હજુ પણ દટાયેલા હોવાની જાણકારી છે. રાહત અને બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે. જોકે આ વિસ્તાર અત્યંત ગીચ વસતી અને સાંકડી શેરીઓ વાળું છે એટલા માટે રેસ્ક્યૂમાં મુશ્કેલી થઇ રહી છે.
ઘટનાસ્થળે ફાયર ફાઈટર્સની 7 ગાડીઓ પહોંચી હતી અને સ્થાનિક પોલીસ તથા રાહત બચાવ ટુકડી સાથે મળીને કાટમાળ હટાવવા પ્રયાસ કરી રહી છે. હાલ દુર્ઘટનાનું સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી પરંતુ એવું કહેવાય છે કે આ ઈમારત જર્જરિત થઇ ચૂકી છે જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઉલ્લેખનિય છે કે, જૂની દિલ્હીના અનેક વિસ્તારોમાં વર્ષો જૂની બિલ્ડીંગો આવેલી છે. ઉપરાંત સાંકડી ગલીઓના કારણે અનેક વખત બચાવ અને રાહત કામગીરીમાં મુશ્કેલી ઉભી થતી હોય છે.