
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પમાં રૂપિયા 7 કરોડના ખર્ચે મોર્ડન લાઇબ્રેરીનું નિર્માણ,
- વિદ્યાર્થીઓ કોઈપણ સમયે ડ્રોપ બોક્સમાં પુસ્તક મૂકી પુસ્તક જમા કરાવી શકશે,
- ફાયર NOC મળતા જ લાઈબ્રેરી ખુલ્લી મુકાશેઃ કુલપતિ
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પમાં રૂપિયા 7 કરોડના ખર્ચે મોર્ડન લાઇબ્રેરીનું નિર્માણ કરાયુ છે. અને ફાયર એનઓસી મળ્યા બાદ એક હજાર વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની આ લાઈબ્રેરી ટૂંક સમયમાં શરૂ થશે. આ લાઈબ્રેરી 24 કલાક ખુલ્લી રહેશે. આ લાઇબ્રેરી એવી રીતે બનાવવામાં આવી છે કે, જેમાં સૂર્યના સીધા કિરણો બિલ્ડીંગ ઉપર પડે અને વિદ્યાર્થીઓ એક પોઝિટિવ ઉર્જા સાથે વાંચન કરી શકે. આ ઉપરાંત ઓટોમેથડ સિસ્ટમથી વિદ્યાર્થીઓની એન્ટ્રી અને એક્ઝિટ આઇડીકાર્ડ સ્કેન કરતાની સાથે થઈ શકશે. તેમજ વિદ્યાર્થીઓ કોઈપણ સમયે ડ્રોપ બોક્સમાં પુસ્તક મૂકી પુસ્તક જમા કરાવી શકશે. આ લાઈબ્રેરી ખુલતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીના કહેવા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષો જૂની લાઈબ્રેરી આવેલી છે, પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી નવી અદ્યતન લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ લાઇબ્રેરીનું જે ભવન છે, તેમાં હાલના નિયમો પ્રમાણે ફાયર NOC લેવાનું બાકી છે. અગાઉ જે વખતે લાઇબ્રેરીના નિર્માણ માટે પ્લાન પાસ થયો ત્યારે ફાયર એનઓસી ફરજિયાતની જોગવાઈ ન હતી. ફાયર એનઓસી બાકી હોવાથી લોકાર્પણ હાલ મુલતવી રહ્યું છે, પરંતુ ફાયર એનઓસી મળી જતાની સાથે જ લાઇબ્રેરીનું લોકાર્પણ કરી દેવામાં આવશે.
આ આધુનિક લાઇબ્રેરીમાં પાઠ્યપુસ્તકો સહિતની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એન્ટ્રી અને એક્ઝિટ માટે RFID (રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટીફિકેશન) સિસ્ટમ રાખવામાં આવી છે. આ ઉપરાંત બિલ્ડિંગની ડિઝાઇન એ રીતે બનાવવામાં આવી છે કે પૂરતો સૂર્યપ્રકાશ લાયબ્રેરીમાં વાંચન માટે બેઠેલા તમામ વિદ્યાર્થીઓને મળે, જેથી તેઓ પ્રાકૃતિક વાતાવરણમાં વાંચન કરી શકે અને પોઝિટિવિટી પણ આવે. આધુનિક લાઇબ્રેરીનુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાચનું છે, જેમાં ઇ- કન્ટેન્ટની સુવિધા પણ વિદ્યાર્થીઓને મળી રહેશે, જેને આપણે ડિજિટલ લાઇબ્રેરી કહીએ છીએ. આ ઉપરાંત વાઇફાઇની પણ સુવિધા રાખવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ ઈ-બુક્સનો પણ ઉપયોગ કરી શકે. નવી લાઇબ્રેરીમાં 5,00,000થી વધુ પુસ્તકો રાખવામાં આવે તે પ્રકારની વિચારણા છે. તેમજ 25 જેટલા વિદ્યાર્થીઓ માટે અલગ વાઇફાઇ રૂમ રાખવામાં આવશે. આ સાથે જ આ લાઇબ્રેરી 24 કલાક ખુલ્લી રાખવાનું આયોજન છે, ત્યારે ઓટોમેથડ સિસ્ટમ અપનાવવામાં આવશે. અહીં વિદ્યાર્થીઓને પુસ્તકો જમા કરાવવા માટે કોઈ વ્યક્તિ પાસે જવું નહીં પડે. પરંતુ એક ડ્રોપ બોક્સ રાખવામાં આવશે, જેમા વિદ્યાર્થીઓ પુસ્તકો મૂકી દેશે તે સાથે જ વિદ્યાર્થીઓ પુસ્તક જમા કરાવ્યું ગણાશે. રાત્રે પણ લાઇબ્રેરીની બંને તરફનો પોર્શન ખુલ્લો રાખવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ ત્યાં બેસી વાંચન કરી શકશે. આ માટે રાત્રે સ્પેશિયલ સિક્યુરિટી ગાર્ડ પણ રાખવામાં આવશે.