
- મકાનોમાં મુળ લાભાર્થીને બદલે ભાડૂઆતો રહેતા હતા,
- એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા 5590 મકાનોની તપાસ કરાઈ,
- 321 આવાસધારકોને શોકોઝ નોટિસ અપાઈ
અમદાવાદઃ શહેરમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓ મકાનો મેળવીને તેને ભાડે આપી દેતા હોય છે. આ અંગેની ફરિયાદો મળતા એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના સાત ઝોનમાં 5590 આવાસમાં તપાસ કરાઈ હતી. આ પૈકી ભાડે અપાયેલા 25 આવાસો સીલ કરાયા છે. જ્યારે 321 આવાસ ધારકોને તેમને ફાળવવામાં આવેલા આવાસ રદ કેમ ન કરવા એ મુદ્દે કારણદર્શક નોટિસો આપવામાં આવી છે.
અમદાવાદ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવાયેલા આવાસ મેળવવા જયાં લોકો મોટી સંખ્યામાં અરજી કરે છે. આમ છતાં તેમનો એક અથવા બીજા કારણસર ડ્રોમાં નંબર લાગતો નથી. બીજી તરફ એક વખત આવાસની ફાળવણી થયા પછી મૂળ લાભાર્થીઓ તેમને ફળવાયેલા આવાસ અન્ય લોકોને ભાડેથી આપતા હોવાની વ્યાપક ફરિયાદ પછી તમામ ઝોનમાં આવેલા આવાસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તપાસ હાથ ધરવામા આવી હતી.
એએમસીના હાઉસિંગ કમિટીના ચેરમેન મુકેશ પટેલના કહેવા મુજબ, આવાસની ફાળવણી રદ કરતા અગાઉ સુનાવણીની પ્રક્રીયા કરવી પડતી હોય છે.જે અંતર્ગત 33 આવાસ ધારકોની સુનાવણી પ્રક્રીયા હાથ ધરાઈ હતી. આ પૈકી 14 કિસ્સામાં અંતિમ નોટિસ આપવા હુકમ કરાયો છે.