1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર 15 કિમીનો ટ્રાફિકજામ સર્જાયો
વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર 15 કિમીનો ટ્રાફિકજામ સર્જાયો

વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર 15 કિમીનો ટ્રાફિકજામ સર્જાયો

0
Social Share
  • જાંબુવા બ્રિજના રોડ પર મોટા-મોટા ખાડા પડી જતા વાહનચાલકો પરેશાન,
  • જાંબુવા બ્રિજ, પોર બ્રિજ અને બામણગામ બ્રિજ પર હેવી ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા,
  • હાઈવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસ પણ નિષ્ક્રિય

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો હોય છે. ત્યારે આ નેશનલ હાઈવે પર જાબુવાં બ્રિજ, પોર બ્રિજ, અને બામણગામ બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા હવે તો રોજિંદી બની ગઈ છે. આજે વહેલી સવારથી વડોદરા નજીક જાંબુવા બ્રિજના રોડ પર મોટા-મોટા ખાડા પડી જતા 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. જાંબુવા બ્રિજ, પોર બ્રિજ અને બામણગામ બ્રિજ પર હેવી ટ્રાફિકજામ થતા વાહનચાલકો પરેશાન થયા હતાં. નેશનલ હાઇવે પર વાહનોના થપ્પા લાગતા કામ અર્થે નીકળેલા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. આ સાથે જ વડોદરા શહેરની હાઈવે આસપાસની સોસાયટીના લોકોને પણ ટ્રાફિકના કારણે અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ટ્રાફિકમાં સવારે 5 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. રોજેરોજના માથાના દુ:ખાવા સમાન ટ્રાફિકની સમસ્યાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આજે સવારથી 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અહીં દર વખતે ચોમાસામાં ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બનતી હોય છે. અને અનેક વાહનચાલકો ટ્રાફિકજામમાં ફસાઈ જાય છે. કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્ત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિકજામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી.  હાઇવે પર એમ્બ્યુલન્સો પણ એક-એક કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયેલી જોવા મળી હતી. જેના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. આ ઉપરાંત જાંબુવા નદી પરના સાંકડા બ્રિજ પર લોકો જીવના જોખમે ચાલવાના નાના રસ્તા પર વાહનો ચલાવતા જોવા મળ્યા હતા.

વડોદરા શહેરના જાંબુવા બ્રિજની બાજુમાં જ સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે, જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી. નીકળે તો ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડું થઈ જાય છે. જાંબુવા બ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિકજામની સમસ્યથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે. તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે તેમ ઇચ્છી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code