
- હાઈવે પર મોરવાડ ગામના પાટિયા પાસે સર્જાયો અકસ્માતનો બનાવ
- યાત્રિકો સોમનાથ-દ્વારકાના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત
- 10 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
લીંબડીઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાતા 5 પ્રવાસીના મોત નિપજ્યા હતા. ટેમ્પો ટ્રાવેલ્સમાં સોમનાથ અને દ્વારકાના દર્શન કરીને પ્રવાસીઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે લીંબડી નજીક મોરવાડ ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનેલા પ્રવાસીઓ પશ્વિમ બંગાળના હતા અને અમદાવાદથી રાતની ફ્લાઈટ હતી. આ અકસ્માતમાં 10 પ્રવાસીઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સોમનાથ-દ્વારકાના દર્શન કરી પરત ફરતા પ્રવાસીઓને અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે (NH) 47 પર મોરવાડ ગામના પાટિયા પાસે બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રાજકોટથી અમદાવાદ તરફ જતી મિની બસ (ટેમ્પો ટ્રાવેલર્સ) અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં 5 મુસાફરોના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે 10 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે હાઈવે પર ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી. મિની બસમાં સવાર અન્ય 10 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં લીંબડી ડીવાયએસપી, પીએસઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ જોવા જઈએ તો ટેમ્પો ટ્રાવેર્લ્સ ગાડી હતી, જે રાજકોટથી અમદાવાદ તરફ જતી હતી અને એના આગળના ભાગે આ જે ડમ્પર જતું હતું. કોઈ પણ રીતે પ્રાથમિક સ્તરે એવું લાગે છે કે ઓવરટેક કરવામાં ગાડી પાછળથી અડી હોય એવું લાગે છે અને એના લીધે ટેમ્પો ટ્રાવેલ્સને ભારે નુકસાન થયું છે, આગળ જે બેસેલા છે એમાંથી પાંચેક લોકોના મૃત્યુ થયા છે. મૃતકોને પીએમ માટે લીંબડી ખસેડવામાં આવેલા છે અને બાકીના જે લોકો ઇજાગ્રસ્ત છે, એમને સાયલા હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવેલા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, પશ્ચિમ બંગાળથી એક ગ્રુપ સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યું હતું. સોમનાથ અને દ્વારકા દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આજે તેઓની અમદાવાદથી પશ્ચિમ બંગાળ માટે ફ્લાઈટ હતી, પરંતુ આ દુર્ઘટનાએ તેમના પ્રવાસને દુઃખદ બનાવ્યો હતો. સાયલા-લીંબડી હાઇવે પર મોરવાડ ગામ પાસે ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલર્સ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મોત થયા છે. આ અકસ્માતમાં 10 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે સાયલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં એક મહિલા અને ચાર પુરુષનો સમાવેશ થાય છે. પાંચ જેટલી 108 એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે દોડી ગઈ હતી અકસ્માતના કારણે હાઈવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે.