
- કારએ બે બાઈકને અડફેટે લીધા બાદ BRTSમાં ઘૂંસીને પલટી ખાધી
- કારચાલક સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો
- એક જ પરિવારના ભાઈ-બહેનના મોતથી ગમગીની વ્યાપી ગઈ
સુરતઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવમાં પૂર ઝડપે કારએ બે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર એક યુવતી સહિત ત્રણના મોત નિપજ્યા હતા. આ અકસ્માત બાદ કાર બીઆરટીએસ કોરીડોરમાં ઘૂંસીને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતના સ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. આ બનાવમાં લોકોએ કારચાલકને કારમાંથી ખેંચીને બહાર કાઢ્યો હતો, પોલીસે કારચાલક અર્જુન બાલુભાઈ વિરાણી (ઉં.વ.34 રહે. મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા) સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના લસકાણા ચાર રસ્તા પાસે ગઈકાલે સાંજના સમયે પૂરફાટ ઝડપે ધસી આવેલી કારે બે બાઈકને ટક્કર માર્યા બાદ કાર બીઆરટીએસ કોરીડોરમાં ઘૂસીને પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં બે બાઇકચાલક યુવકને હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જ્યારે એક યુવતીને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જેનું આજે મોત નીપજ્યું હતું. અમરેલીના સગાં ભાઈ-બહેનનાં મોતથી પરિવારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે. જ્યારે અન્ય યુવકના મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ આ મામલે લસકાણા પોલીસે કારચાલક વિરુદ્ધમાં સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના કામરેજમાં નનસાડ રોડ ઓપેરા હાઉસમાં રહેતા 35 વર્ષીય રાજેશ મનસુખભાઇ ગજેરા અને તેની બહેન શોભા સાથે સાંજે બાઇક પર કામ અર્થે જવા નીકળ્યા હતા. તે સમયે લસકાણા ચાર રસ્તા પાસે એક કારના ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી રાજેશની બાઈકને ટક્કર મારી હતી. ત્યારબાદ બીજી બાઇકના ચાલક 48 વર્ષીય મહેશભાઈ નાનજીભાઈ લાઠિયાને પણ કારે અડફેટે લીધા હતા. બે બાઈકને અડફેટે લીધા બાદ કાર બીઆરટીએસ કોરીડોરમાં ઘૂસી ગઈ હતી અને ત્યાં પલટી ખાઈને ડિવાઈડર સાથે ભટકાઈ હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા બાઈકસવાર રાજેશ ગજેરા અને મહેશભાઇ લાઠિયાને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં વારાફરતી બંને યુવકોને ટૂંકી સારવારમાં મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત રાજેશની બહેન શોભાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે આજે સવારે શોભાનું મોત નિપજ્યું હતું. કારચાલકે અકસ્માત કર્યા બાદ બીઆરટીએસ રૂટમાં ઘૂસી કાર પલટી મારી ગઈ હતી. આસપાસથી દોડી આવેલા લોકો દ્વારા કારચાલકને કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. કારચાલક એકાઉન્ટન્ટની નોકરી કરતો અર્જુન બાલુભાઈ વિરાણી (ઉં.વ.34 રહે. મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે લસકાણા પોલીસે કારચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માતનો ભોગ બનેલો બાઈકસવાર રાજેશભાઈ મૂળ અમરેલી સાવરકુંડલાના વતની હતા. રાજેશભાઈ તેની બહેન શોભા સાથે કામરેજથી મોટા વરાછા કામ અર્થે જવા નીકળ્યા હતા. તે સમયે રાજેશને રસ્તામાં કાળ ભેટી ગયો હતો. તેની બહેન શોભાને ગત રોજ ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જેનું પણ આજે મોત નીપજ્યું છે. રાજેશભાઈ અપરિણીત હતા અને જોબવર્કનું કામ કરતા હતા. જ્યારે અકસ્માતનો ભોગ બનેલા બીજા બાઈકચાલક મૂળ ભાવનગર જિલ્લાના બગદાણાના વતની મહેશભાઇ લાઠિયા લસકાણા ડાયમંડ નગર ખાતે ખાતા પરથી બાઈક લઈને ઘરે જતા હતા. ત્યારે લસકાણા ચાર રસ્તા પર તેઓને અકસ્માત નડ્યો હતો. મહેશભાઈને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જ્યારે ત્રણેય સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.
આ અકસ્માત બાદ કારચાલકને કારમાંથી બહાર કાઢીને લોકોએ લસકાણા પોલીસને સોંપ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કારચાલક અર્જુન વિરાણીએ ભૂલથી બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ ગયું હોવાનો દાવો કર્યો છે, પરંતુ આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને મોડી રાત્રે પોલીસે તેના વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.