
અમદાવાદઃ વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં તમામ મૃતક બાળકના પરિવારને વળતર પેટે રૂ. 31,75,700 આપવાનો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે હુકમ કર્યો છે. આ ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષક સહિત કુલ 14 લોકોના મોત થયા હતા. આ આદેશ કરતા વડોદરા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વી. કે.સાંબડેએ જણાવ્યું છે કે, હાઈકોર્ટની અજીના આધારે તમામ મૃતક બાળકના પરિવારજનોને વળતર પેટે રૂ. 31,75,700 તથા બે શિક્ષકોને અનુક્રમે રૂ. 11,21,900 અને રૂ. 16,68,209 તેમજ ઈજાગ્રસ્તોને રૂ. 50,000નું વળતર આપવામાં આવે છે. આ ઉપરાંત નક્કી કરેલી વળતરની રકમ પર જાહેર હિતની અરજીની દાખલ તારીખથી વસૂલાત સુધીના સમયગાળા માટે વાર્ષિક 9% વ્યાજ દર પ્રમાણે રકમ મળવાપાત્ર રહેશે.
હરણી બોટ કાંડ અંગે વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોષી સહિતના નેતાઓએ વારંવાર રજૂઆતો કરી હતી. તેમણે કોર્પોરેશન પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ‘આ વર્ષે કોર્પોરેશનની ભૂલના કારણે કુલ 30 વ્યક્તિએ જીવ ગુમાવ્યો. હરણી બોટ કાંડમાં 14 વિદ્યાર્થી અને બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત થયા. આ દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં પીડિત પરિવારો લાચારીથી મદદ માટે આજીજી કરી રહ્યા છે, જે આપણા માટે શરમજનક છે.’