અમદાવાદ, 9 જુન, 2026 : Demand for compensated leave for teachers in census work ગુજરાતમાં હાલ વસતી ગણતરીની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં શાળાઓના શિક્ષકોને જોતરવામાં આવ્યા છે. ત્યારે વસતી ગણતરી અને નવા શૈક્ષણિક સત્રની કામગીરી વચ્ચે પ્રાથમિક શિક્ષકોને ‘ઓન ડ્યુટી’ ગણવા તેમજ વેકેશન દરમિયાન બજાવેલી ફરજ બદલ વળતર રજા આપવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્યના વસતી ગણતરી નિયામક સમક્ષ રજૂઆત કરી છે.
ગુજરાતમાં તા. જુનથી વસતી ગણતરીની કામગીરી ચાલી રહી છે. જેના માટે પ્રાથમિક શિક્ષકો સહિત વિવિધ કર્મચારીઓને સુપરવાઇઝર અને ગણતરીદાર તરીકે નિયુક્ત કરાયા છે. વસતી ગણતરીના હુકમો મળેલા કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા અગાઉથી સૂચનાના પગલે શિક્ષકોએ ઉનાળુ વેકેશન દરમિયાન તાલીમ મેળવી હતી. અને 1 જૂનથી વસતી ગણતરીની કામગીરી શરૂ કરી છે. બીજી તરફ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં વસતી ગણતરીમાં જોડાયેલા શિક્ષકોને સવારના સમયે શાળામાં શિક્ષણકાર્ય અને બપોર બાદ વસતી ગણતરીની કામગીરી સંભાળવી પડે તો તે બંને જવાબદારીઓ અસરકારક રીતે નિભાવવી મુશ્કેલ બની રહી છે. આથી સુચારૂ રીતે કામગીરી થાય તે માટે ઑન ડયુટીની રાજ્યકક્ષાએથી સૂચના આપવા બાબતે સંઘે રાજ્યના વસતી ગણતરી નિયામક સુજલ માયાત્રાને રજૂઆત કરી છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલે લખેલા પત્રમાં ભારત સરકારના જનગણના અધિનિયમ-1948ની કલમ 15(એ)નો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે, વસતી ગણતરીની ફરજ પર વિતાવેલો સમય કર્મચારીની મૂળ કચેરીની ફરજ તરીકે ગણવાની જોગવાઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 70 ટકાથી વધુ પ્રાથમિક શિક્ષકો ગણતરીમાં જોડાયેલા હોવાથી તેમને કામગીરીના સમયગાળા દરમિયાન ‘ઓન ડ્યુટી’ ગણવા તમામ જિલ્લાઓને સૂચના આપવા માંગ કરાઇ છે. વસતી ગણતરીમાં રોકાયેલા શિક્ષકોને વેકેશન સમયગાળાની નિયમાનુસાર મળવાપાત્ર પ્રાપ્ત/વળતર રજા આપવા તમામ જિલ્લા, તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકાના વસતી ગણતરી અધિકારીઓને સૂચના આપવા પણ રજૂઆત કરવામાં આવી છે.


