જામનગર, 21 એપ્રિલ 2026: More than 100 workers suffer food poisoning શહેર નજીક આવેલી મોટી ખાવડી વિસ્તારની લેબર કોલોનીમાં 100થી વધુ શ્રમિકોને ભોજન બાદ ફુડ પોઈઝનિંગ થતા અફડાતફડી મચી ગઈ હતી. શ્રમિકો માટે અંધારામાં ભોજન બનાવતી વખતે કોઈ ઝેરી પદાર્થ અથવા જીવજંતુ ભળી જવાને કારણે આ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડી આવીને ભોજનના સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગર નજીક મોટી ખાવડી ખાતે આવેલી શ્રમિકોની વસાહતમાં ગત રાત્રે ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું હતું. આ સમયે પૂરતા પ્રકાશના અભાવે એટલે કે અંધારામાં રસોઈ બનાવતી વખતે કોઈ કારણોસર ખાદ્ય પદાર્થમાં ઝેરી વસ્તુ ભળી ગઈ હતી. રસોઈમાં ગરોળી જેવું કોઈ ઝેરી જીવજંતુ પડી ગયું હોવાની શક્યતા છે. ભોજન લીધાના થોડા જ સમયમાં શ્રમિકોને ઊલટી-ઉબકા અને પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી. જોતજોતામાં 50થી વધુ શ્રમિકોની હાલત લથડતા અને ત્યારબાદ આ આંકડો 100ને પાર કરી જતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે તેઓને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે જી.જી. હોસ્પિટલના તબીબ ડૉ. એસ એસ ચેટરજીએ જણાવ્યું હતું કે, “ગઈકાલે રાત્રે મોટી ખાવડીથી ફૂડ પોઈઝનિંગના લક્ષણો ધરાવતા અનેક દર્દીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. હિસ્ટ્રી ચેક કરતા જાણવા મળ્યું છે કે, ખાવાની વસ્તુમાં ગરોળી પડવાને કારણે અમુક શ્રમિકોને ઊલટી અને અન્ય તકલીફો શરૂ થઈ હતી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા તમામ દર્દીઓની તબિયતમાં હવે નોંધપાત્ર સુધારો છે. હાલમાં કોઈ પણ દર્દીની હાલત ગંભીર નથી અને તમામની સ્થિતિ સ્થિર હોવાથી આજે તમામને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
લેબર કોલોનીઓમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વસવાટ કરે છે. ઘણીવાર પાયાની સુવિધાઓના અભાવે અને અસ્વચ્છ વાતાવરણમાં રસોઈ બનતી હોવાથી આવી ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. 100થી વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાથી હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ મામલે કડક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલ પૂરતું તો તમામ શ્રમિકો જોખમ મુક્ત છે, પરંતુ આ ઘટનાએ લેબર કોલોનીઓમાં આરોગ્ય અને સ્વચ્છતાના ધોરણો સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.


