સુરત, 14 એપ્રલ 2026: Rush for admissions to government schools મોંઘવારીએ માઝા મુકી છે, તેના લીધે મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી બની છે. ખાનગી શાળાઓની ફી હવે ઘણાબધા વાલીઓને પોસાતી નથી. ત્યારે વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળાઓમાં પ્રવેશ રદ કરાવીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. સુરત શહેરમાં મ્યુનિ.સંચાલિત શાળાઓમાં પ્રવેશ માટે ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં બાળકોને પ્રવેશ અપાવવા માટે વાલીઓની લાંબી લાઈનો જોવા મળી છે. પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓ વહેલી સવારે 5:00 વાગ્યાથી લાઈન લગાવીને ઊભા રહી જાય છે.
શહેરના ઉત્રાણ સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળાની બહાર વાલીઓએ પોતાના સંતાનોના પ્રવેશ ફોર્મ ભરવા માટે લાંબી લાઈનો લગાવી દીધી હતી. વાલીઓ સવારે 5 વાગ્યાથી શાળાના ગેટ પર પહોંચી જાય છે. રસપ્રદ વાત એ છે કે, લાઈનમાં પોતાનો નંબર જળવાઈ રહે તે માટે વાલીઓએ બુટ અને ચપ્પલની લાઈન લગાવી દીધી છે. અડધા કિલોમીટર લાંબી આ લાઈન માત્ર એડમિશનનું ફોર્મ કે ટોકન મેળવવા માટે છે. વાલીઓનું કહેવું છે કે, જો મોડા પડીએ તો ટોકન મળતું નથી અને બાળક એક સારા શિક્ષણથી વંચિત રહી જાય તેવી બીક રહે છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક 334ના આચાર્ય ચેતન હીરપરા કહ્યુ હતું કે, કે, આ મહારાજા કેમ્પસમાં ત્રણ શાળાઓ કાર્યરત છે. અમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ માત્ર માર્કશીટ નહીં પણ બાળકના જીવનના ગુણો ખીલે તેવા પ્રયાસો કરીએ છીએ. રમતગમતનું વિશાળ મેદાન, સંગીત અને ચેસ જેવી પ્રવૃત્તિઓમાં અમારા બાળકો મોખરે રહે છે. વધુ પડતા ધસારાને કારણે શાળા પ્રશાસન દ્વારા નામ નોંધણી બાદ ડ્રો પદ્ધતિથી પારદર્શક રીતે એડમિશન આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


