
- રખડતા ઢોર જાહેર રોડ પર અડિંગો જમાવીને બેઠેલા હોય છે,
- શ્રવણ ટોકિઝ રોડ પર રખડતા ઢોરનો સૌથી વધુ ત્રાસ,
- મ્યુનિ.એ કોઈ કારણોસર રખડતા ઢોર પકડવાની કાર્યવાહી અટકાવી દીધી છે,
સુરેન્દ્રનગરઃ શહેરમાં અનેક વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. આ અંગે મ્યુનિ.કોર્પોરેશનમાં રજુઆત કરવા છતાંયે કોઈ પગલાં લેવામાં આવતા નથી. રખડતા ઢોર શહેરના મુખ્ય રોડ પર અડિંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહનચાલકો પણ પરેશાની ભાગવી રહ્યા છે. શહેરના શ્રવણ ટોકીઝ રોડ પર રખડતા પશુઓનો અડિંગો જામતા વેપારીઓ પરેશાન બન્યા હતા અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઢોર પકડવા ઝુંબેશ ફરીથી શરૂ કરવાની લોકમાંગ ઊઠી છે.
સુરેન્દ્રનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા તો ઘણા સમયથી છે. પણ ખાસ તો ચોમાસાની સીઝનમાં રખડતા ઢોર રોડ પર જ અડિંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. શહેરના લગભગ તમામ મુખ્ય માર્ગ પર વારંવાર પશુઓનો જમાવડો થઇ જાય છે. તેમા શહેરની શ્રવણ ટોકીઝ રોડ અને શાકમાર્કેટ તથા મુખ્ય બજારોમા રખડતા ઢોર ઝઘડતા લોકો અડફેટે આવી જતા હોય છે. રસ્તા પર ફરતા અને બેસતા પશુઓના કારણે કોઇ મોટી દુર્ઘટના થાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રાહદારીઓ, વાહનચાલકો સહિતના લોકોમાંગ ઊઠી છે.
સુરેન્દ્રનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ તંત્રે રખડતા ઢોર પકડવા પર ઝુંબેશ શરૂ કરી હતી પણ કોઈ કારણોસર હમણાં કાર્યવાહી બંધ છે તે ફરીથી શરૂ કરવાની લોકમાંગ ઊઠી છે. શહેરમાં અનેક વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસની ફરિયાદો ઊઠતા કડક કાર્યવાહી ઇચ્છનિય છે. શહેરના 80 ફૂટ રોડ, જંક્શન રોડ, હેન્ડલૂમથી ટાવર રોડ, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિત અનેક વિસ્તારોના મુખ્ય માર્ગો પર આ પ્રકારની સમસ્યા હોવાથી મનપા દ્વારા જો કડક કાર્યવાહી થાય તો રખડતા ઢોરની સમસ્યાથી મુક્તિ મળવાની શહેરીજનોમાં આશા જાગી છે.