
- બપોરે 12 વાગ્યા બાદ અરજદારોની કામગીરી કરાઈ
- RTOના અધિકારીઓએ માસ CL પર જતા પહેલા સરકારે પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી
- દોઢ દિવસમાં અમદાવાદમાં 600 અરજદારો ડ્રાઈવીંગ ટેસ્ટ ન આપી શક્યા
અમદાવાદઃ ગુજરાતમાં આરટીઓ ઈન્સ્પેક્ટરો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લોગિન ડે’ અભિયાન સાથે કામગીરીથી અળગા રહ્યા હતા. આજે મંગળવારે માસ સીએલ પર જવાનું એલાન કર્યુ હતું. આરટીઓની હડતાળથી અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા. અગાઉથી એપોઈન્મેન્ટ લઈને આરટીઓ કચેરી આવ્યા બાદ જ હડતાળની જાણ થઈ હતી. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવાની ખાતરી અપાતા આરટીઓ ઈન્સ્પેક્ટરોએ આજે બપોરે હડતાળ સમેટી લીધી હતી.
ગુજરાતભરમાં આરટીઓના મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટનાં ટેકનિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર તરફથી બાયંધરી અપાતા આરટીઓ ઓફિસરો કામ પર પરત ફર્યા છે. આજે બપોરે 12 વાગ્યા બાદ જે અરજદારોએ એપોઈન્ટમેન્ટ લીધી હતી. એની કામગીરી કરવામાં આવી છે.
આરટીઓના ટેક્નિકલ ઓફિસરો ગઈકાલે સોમવારે ‘નો લોગિન ડે’ અભિયાન સાથે કામગીરીથી અળગા રહેતા એપોઈન્ટમેન્ટ લઈને આવેલા અરજદારો પરેશાન થયા હતા. આજે પણ તમામ ઓફિસરોએ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી. જો કે, ત્યારબાદ સરકારે પ્રશ્નોનો ઉકેલ લાવવા બાયંધરી અપાતા તમામ ઓફિસર કામ પર પરત ફર્યા છે. દોઢ દિવસમાં અમદાવાદ આરટીઓ કચેરીમાં 400થી વધુ અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ટેસ્ટ આપી શક્યા નહતા.. વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં પણ 200 થી વધુ લોકોએ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ટેસ્ટ આપી શક્યા નહતા. આજે મંગળવારે 12 વાગ્યા પછીની તમામ અપોઈન્ટમેન્ટ પર અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શક્યા હતા.
રાજકોટના 25 સહિત રાજ્યભરના RTO ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર દ્વારા પડતર માંગણીઓને લઈને આંદોલન શરૂ કરવામાં આવ્યું હતુ જોકે હવે સરકાર તરફથી હકારાત્મક વલણ દાખવવામાં આવતા હડતાલ સમેટી દેવામાં આવી છે. જોકે દોઢ દિવસમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને લાયસન્સ સહિતની સેવાઓ બંધ રહેતા 1,000 થી વધુ અરજદારોને આરટીઓ કચેરી ખાતે ધરમ ધક્કો થયો હતો. કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી સરકારના વિરોધ સાથે કામ ચાલુ રાખ્યું હતુ. ગઈકાલે ટેક્નિકલ અધિકારીઓએ No Login Day અભિયાન અંતર્ગત પોતાની કામગીરી બંધ કરી દીધી હતી. જેને કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પણ બંધ થઈ ગયો હતો અને આજે માસ CL ને કારણે કામગીરી બંધ રાખવામાં આવી હતી જો કે હવે હડતાલ સમેટાઈ જતા ટેકનિકલ અધિકારીઓએ કામગીરી શરૂ કરી દેતા અરજદારોની મુશ્કેલી દૂર થઈ છે.