
ટ્રમ્પે દાવો કર્યો કે યુદ્ધવિરામ અમલમાં છે; ઇઝરાયલી વિમાનો પાછા ફરશે, તેહરાન પર હુમલો નહીં કરે
ઈરાન અને ઈઝરાયલ દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયાના થોડા સમય પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી માહિતી શેર કરી છે. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું – ‘ઈઝરાયલ ઈરાન પર હુમલો કરશે નહીં.’ બધા વિમાનો ઘરે પાછા ફરશે અને ઈરાનને મૈત્રીપૂર્ણ ‘વિમાન લહેર’ આપશે. કોઈને નુકસાન થશે નહીં, યુદ્ધવિરામ અમલમાં છે!’ આના થોડા સમય પછી, ટ્રમ્પે બીજી પોસ્ટમાં લખ્યું – ઈરાન ક્યારેય તેના પરમાણુ સુવિધાઓનું પુનર્નિર્માણ કરશે નહીં!
અગાઉ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન અને ઇઝરાયલ બંનેએ યુદ્ધવિરામના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ યુદ્ધવિરામ મંગળવાર સવારથી અમલમાં આવવાનો હતો, પરંતુ તેના થોડા સમય પછી, બંને દેશોમાંથી હુમલાઓ થયા. ટ્રમ્પે ઇઝરાયલને ચેતવણી આપી છે કે તે તેના પાઇલટ્સને તાત્કાલિક ઘરે બોલાવે અને બોમ્બમારો બંધ કરે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું – ઇઝરાયલ, બોમ્બ ન ફેંકો. જો તમે આવું કરશો, તો તે એક મોટું ઉલ્લંઘન હશે. તમારા પાઇલટ્સને તાત્કાલિક પાછા બોલાવો!
“તેઓએ (ઈરાને) યુદ્ધવિરામનો ભંગ કર્યો, પણ ઇઝરાયલે પણ. હું ઇઝરાયલથી ખુશ નથી,” ટ્રમ્પે નાટો સમિટ માટે હેગ જતા પહેલા પત્રકારોને જણાવ્યું.
યુદ્ધવિરામ પછી શું થયું?
મંગળવારે સવારે, ઇઝરાયલે યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી ઇરાન પર તેના હવાઈ ક્ષેત્રમાં મિસાઇલો છોડવાનો આરોપ લગાવ્યો. ઈરાનની સેનાએ આ વાતનો ઇનકાર કર્યો હતો, પરંતુ ઉત્તર ઇઝરાયલમાં વિસ્ફોટો અને સાયરન સંભળાયા હતા. ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેણે રસ્તામાં બે ઈરાની મિસાઇલોનો નાશ કર્યો છે.
યુદ્ધવિરામનો પ્રયાસ અને કટોકટી
સોમવારે, ઈરાને કતારમાં યુએસ લશ્કરી મથક પર હુમલો કરીને બદલો લીધો. આ પછી, ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી, જેને બંને દેશોએ સ્વીકારી લીધી. પરંતુ તાજેતરના હુમલાઓ પછી, આ યુદ્ધવિરામ પર પ્રશ્નો ઉભા થયા છે. દરમિયાન, ઇઝરાયલના નાણામંત્રી બેત્સાલેલ સ્મોટ્રિચે ટ્વિટર પર લખ્યું: “તેહરાન ધ્રૂજશે”, જે સ્પષ્ટ કરે છે કે સંઘર્ષ હજુ પૂરો થયો નથી.