
- શહેરના વિક્ટોરિયા પાર્ક પાણીની ટાંકીથી જનજાગૃતિ સાઇકલ રેલી યોજાઈ,
- વિક્ટોરિયા પાર્કમાં પ્લાસ્ટિક એકત્રીકરણનું અભિયાન હાથ ધરાયુ,
- તળાજાના સરતાનપર ગામે સેવ અર્થ મિશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
ભાવનગરઃ આજે વિશ્વ પર્યાવરણ દિને ભાવનગરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ અને સામાજિક વનીકરણ રેન્જ ભાવનગરના ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ત્રણ મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. શહેરના વિક્ટોરિયા પાર્ક પાણીની ટાંકીથી જનજાગૃતિ સાઇકલ રેલીનો પ્રારંભ થયો હતો. આ રેલી ઇન્ડસ્ટ્રીયલ જ્વેલ્સ થઈને સામાજિક વનીકરણ રેન્જ આંબા નર્સરી વિક્ટોરિયા પાર્ક ખાતે સંપન્ન થઈ હતી.
શહેરના વિક્ટોરિયા પાર્કમાં પ્લાસ્ટિક એકત્રીકરણનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્કાઉટ ગાઈડ રોવર રેન્જર અને વન વિભાગના અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. વિદ્યાર્થીઓએ વૃક્ષોનું પૂજન કર્યું અને તેમના જતન માટે પ્રતિજ્ઞા લીધી હતી. વિદ્યાર્થીઓને વૃક્ષોના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. સામાજિક વનીકરણ આંબા નર્સરીએ તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રોપા આપ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ દીપકભાઈ રાઠોડ અને સિનિયર સ્કાઉટ ગાઈડે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ ઉપરાંત તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સેવ અર્થ મિશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. મુક્તેશ્વર મહાદેવ મોક્ષધામ ખાતે 3000 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. સેવ અર્થ મિશને 2040 સુધીમાં વિશ્વભરમાં 3000 કરોડ વૃક્ષો વાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. વક્તાઓએ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા માટે અપીલ કરી છે. ભાવનગર જિલ્લા પ્રમુખ વિષ્ણુભાઈ યાદવે જણાવ્યું કે જિલ્લાની શાળા-કોલેજો અને જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવશે.