Homeગુજરાતીગુજરાતગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિમાં આરોગ્ય વિભાગે 1.47 લાખ લોકોને આપી સારવાર

ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિમાં આરોગ્ય વિભાગે 1.47 લાખ લોકોને આપી સારવાર

ગાંધીનગર, 5 ઓગસ્ટ 2026 : Medical treatment to 1.47 lakh people amidst heavy rainfall conditions. રાજ્યમાં તાજેતરમાં જ સર્જાયેલી ભારે વરસાદની આફત વચ્ચે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે સમયસૂચકતા અને પૂર્વ આયોજન સાથે સક્રિય કામગીરી કરી છે. ચોમાસા પહેલા અને ચોમાસા દરમિયાન રાજ્યના ૩૪ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકાઓ માટે મોનસૂન એક્શન પ્લાન તૈયાર કરી તેને અમલી બનાવવામાં આવ્યો હતો. જેના પરિણામે, રાજ્યમાં પૂર અને અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ છતાં પણ આરોગ્ય વિષયક કોઈ આકસ્મિક કટોકટી સર્જાઈ નથી અને રોગચાળો મહદઅંશે નિયંત્રણ હેઠળ રહ્યો છે.

આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળે ખસેડાયેલા લોકોનું રીલીફ કેમ્પમાં નિયમિત મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારે વરસાદથી પ્રભાવિત અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ૬૭૫ સગર્ભા માતાઓનું અગાઉથી જ સલામત આરોગ્ય સંસ્થાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જેમાંથી ૨૭૨ સગર્ભા માતાઓની સફળ સંસ્થાગત પ્રસૂતિઓ કરાવવામાં આવી છે.

રાજ્ય, ૩૪ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકાઓમાં ૨૪x૭ આરોગ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ રેપિડ રિસ્પોન્સ ટીમો તેમજ દરેક જિલ્લામાં વાહન અને સ્ટાફ સાથેની વધારાની ૫ ઈમરજન્સી મેડિકલ ટીમો પણ સજ્જ રાખવામાં આવી હતી. કટોકટીની સ્થિતિ પહોંચી વળવા ૧,૪૯૬ – ૧૦૮ એમ્બ્યુલન્સ, ૮૧૬ PHC/CHC એમ્બ્યુલન્સ તેમજ PHC/CHC ખાતે જનરેટર અને પૂરતો ડીઝલ સ્ટોક ઉપલબ્ધ રખાયો છે.

વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા નિયંત્રણ માટે કુલ ૬,૮૬૮ મેડિકલ કેમ્પ યોજીને ૧.૭૪ લાખથી વધુ દર્દીઓનું આરોગ્ય તપાસીને સ્થળ પર જ જરૂરી સારવાર આપવામાં આવી હતી.

વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે ૧૮,૦૦૦થી વધુ સર્વેલન્સ ટીમ દ્વારા દૈનિક ઘરે-ઘરે સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. આ ટીમો દ્વારા ૧.૦૫ કરોડથી વધુ ક્લોરીન ટેબ્લેટ્સ અને ૧૦.૨૯ લાખથી વધુ ORS પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. પીવાના પાણીની ગુણવત્તા જાળવવા ૧૦.૫૨ લાખથી વધુ રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે અને પાણીની પાઇપલાઇનમાં પડેલા ૩,૦૬૧થી વધુ લીકેજનું યુદ્ધના ધોરણે સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

કટોકટીની કોઇપણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ૧.૫ કરોડથી વધુ ક્લોરીન ટેબ્લેટ્સ, ૬૦ લાખથી વધુ ORS તેમજ ૧,૩૮,૨૩૪ એન્ટી સ્નેક વેનમ (ASV) ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. પૂરના સમયે સર્પદંશના બનાવો સામે ત્વરિત સારવાર મળી રહે તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં પણ એન્ટી સ્નેક વેનમ ઇન્જેક્શન ઉપલબ્ધ રખાયા હતા.

હાલમાં વરસાદ શાંત થયા બાદ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ અને નવસારી જિલ્લાના ૫૬૨ ગામોમાં ૭.૬૧ લાખથી વધુ ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને લેપ્ટોસ્પાયરોસીસ અટકાયત માટે કેમોપ્રોફાયલેક્સિસ (ડોક્સિસાયક્લિન) આપવામાં આવી છે. વાહકજન્ય રોગો અટકાવવા વધારાની ૪૯૭ વેક્ટર કંટ્રોલ ટીમ નિમવામાં આવી છે, જે ક્ષેત્રિય સ્તરે એન્ટી-લાર્વલ અને જાગૃતિ કેળવવાની કામગીરી કરી રહી છે. (File photo)

સંબંધિત લેખો

Most Popular