સુરત, 8 જુન 2026 : Books have not yet been received by grant-aided schools ગુજરાતમાં ઉનાળાના વેકેશન બાદ આજથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો છે. ત્યારે ઘણીબધી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી 12ના પાઠ્ય પુસ્તકો વિદ્યાર્થીઓને હજુ મળ્યા નથી. પાઠ્ય પુસ્તકો વિના જ શિક્ષકોએ પ્રાથમિક શૈક્ષણિક કાર્ય શરૂ કરવું પડ્યું હતું. વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકો બંને લાચાર દેખાતા હતા. સવાલ એ થાય છે કે જો શૈક્ષણિક સત્રની તારીખ મહિનાઓ પહેલા નક્કી થઈ જતી હોય, તો પછી પુસ્તકો પહોંચાડવામાં વિલંબ કેમ કરાયો છે.
શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે આજે સુરત શહેરની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ વિભાગની પોલ ખુલી ગઈ છે. શાળાઓ તો શરૂ થઈ ગઈ છે અને ઘંટ પણ વાગી ગયો છે, પરંતુ ધોરણ 9થી 12ના હજારો વિદ્યાર્થીઓના હાથમાં હજી સુધી સરકારી પાઠ્યપુસ્તકો આવ્યા નથી. પરિણામે, પહેલા જ દિવસે વિદ્યાર્થીઓ પુસ્તકો વિના જ ખાલી હાથે શાળાએ આવવા મજબૂર બન્યા છે.
શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં આવેલી જાણીતી એલ. એન. ડાળિયા હાઈસ્કૂલમાં આજે સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર નવા ગણવેશમાં શાળાએ પહોંચ્યા હતા, પરંતુ જ્યારે તેઓ વર્ગખંડમાં બેઠા ત્યારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ પાસે ભણવા માટે એક પણ પાઠ્યપુસ્તક ઉપલબ્ધ નહોતું. પુસ્તકો વિના જ શિક્ષકોએ પ્રાથમિક શૈક્ષણિક કાર્ય શરૂ કરવું પડ્યું હતું. વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકો બંને લાચાર દેખાતા હતા. સામાન્ય રીતે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અને સ્થાનિક શિક્ષણ વિભાગનું આયોજન એવું હોય છે કે, દર વર્ષે ફેબ્રુઆરી મહિના સુધીમાં જ તમામ શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષના પુસ્તકોનો જથ્થો મોકલી દેવામાં આવે છે. આ સુવ્યવસ્થિત આયોજનને કારણે માર્ચ-એપ્રિલમાં જ્યારે શાળાઓના વાર્ષિક પરિણામો જાહેર થતા ત્યારે જ વિદ્યાર્થીઓને રીઝલ્ટની સાથે નવા ધોરણના પાઠ્યપુસ્તકો આપી દેવામાં આવતા હતા. પુસ્તકો વહેલા મળવાનો સૌથી મોટો ફાયદો એ થતો હતો કે હોશિયાર, મધ્યમવર્ગીય અને જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ ઉનાળાના 35થી 40 દિવસના લાંબા વેકેશનનો સદુપયોગ કરતા હતા. તેઓ વેકેશન દરમિયાન જ આગામી ધોરણનો અભ્યાસ, ગણિતના દાખલા અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોની તૈયારીઓ ઘરે બેઠા કે ટ્યુશન ક્લાસના માધ્યમથી શરૂ કરી દેતા હતા. જેના કારણે જૂન મહિનામાં જ્યારે શાળા ખુલે ત્યારે તેમનો પાયો મજબૂત થઈ જતો હતો. પરંતુ આ વર્ષે જૂન મહિનો બેસી ગયો, વેકેશન પૂરું થઈ ગયું અને આજથી શાળાઓના કપાટ ખૂલી ગયા હોવા છતાં પાઠ્યપુસ્તકોના કોઈ ઠેકાણા નથી.


