
NFSU: રાષ્ટ્રપતિના હસ્તે વિવિધ અભ્યાસક્રમોના કુલ 1,562 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ
અમદાવાદઃ ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU) નો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે વિવિધ અભ્યાસક્રમોના કુલ 1,562 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 12 વિદ્યાર્થીઓને ડોક્ટરેટ ઓફ ફિલોસોફી(PhD), એક વિદ્યાર્થીને ડોક્ટરેટ ઓફ લો (LLD)ની તેમજ અન્ય વિદ્યાર્થીઓને ડીપ્લોમાં, સ્નાતક, અનુસ્નાતક અને અનુસ્નાતક ડીપ્લોમાંની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિશ્રીના હસ્તે સુવર્ણ ચંદ્રક પણ એનાયત કરાયા હતા.
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગાંધીનગર સ્થિત NFSU અર્થાત રાષ્ટ્રીય ન્યાયાલયિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના ત્રીજા દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે પદવી પ્રાપ્ત કરવામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સંવેદનશીલ ન્યાય પ્રણાલી પર આધારિત વિકસિત ભારતના નિર્માણ માટે આપણે સૌ પ્રતિબદ્ધ બનીએ.
આજે વિશ્વભરમાં ફોરેન્સિક સાયન્સનું મહત્વ વધી રહ્યું છે, તેમ જણાવતા રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે, દુનિયાના શ્રેષ્ઠ એવા આ વિશ્વવિદ્યાલયમાંથી આજે 15 દેશોના લગભગ 70થી વધુ વિદ્યાર્થીઓએ પણ પદવી પ્રાપ્ત કરી છે. એટલું જ નહીં, આ યુનિવર્સિટીમાં સિવિલ સર્વિસીસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ, ફાયનાન્સ, બેન્કિંગ, ન્યાયપાલિકા સહિત મહત્વના ક્ષેત્રોના 30,000 જેટલા ઓફિસર્સને પણ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.
અપરાધીઓનું નિયંત્રણ તેમજ છેવાડાના નાગરિકોને ઝડપી અને સુલભ ન્યાય મળે તે માટે ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની ભૂમિકા મહત્વની છે. દેશમાં ફોરેન્સિક સાયન્સીસ આધારિત ઇકોસીસ્ટમ સુદ્રઢ કરવા મિશન મોડ પર કાર્ય થઇ રહ્યુ છે. આ માટે ગૃહ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય અને ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીને રાષ્ટ્રપતિએ અભિનંદન પાઠવ્યા હતા.રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વિજ્ઞાન અને ટેક્નોલોજીના માધ્યમથી ઝડપી અને સુલભ ન્યાય પ્રક્રિયા માટે પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાનનો સમુચિત ઉપયોગ કરવા અનુગ્રહ કર્યો હતો. નિષ્પક્ષ અને ત્વરિત ન્યાય આપનું લક્ષ્ય હોવું જોઈએ, તેમ તેમણે જણાવ્યું હતું.
રાષ્ટ્રપતિશ્રીએ 1 જુલાઈ, 2024નો દિવસ ભારતના ઇતિહાસનો અતિમહત્વપૂર્ણ દિવસ છે, તેમ જણાવી ઉમેર્યું હતું કે, આ દિવસે દંડને બદલે ન્યાય આધારિત ત્રણ નવા કાયદા અમલમાં આવ્યા હતા. જેમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023, ભારતીય ન્યાય સંહિતા-2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-2023નો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે, જે અપરાધમાં દંડની સમયાવધી સાત વર્ષ કે તેથી વધુ હોય, તેવા કિસ્સામાં ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ગુનાની તપાસ ફરજિયાત કરવાના કારણે આ ક્ષેત્રના તજજ્ઞોની તાતી જરૂરિયાત ઊભી થશે. આ જરૂરિયાત રાષ્ટ્રીય ન્યાયાલયિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય-ગાંધીનગર પૂર્ણ કરશે. અપરાધો પર નિયંત્રણ, અપરાધીઓમાં સજાનો ભય તેમજ નાગરિકોને ત્વરિત ન્યાય મળવાનો વિશ્વાસ હોય એ જ સુશાસનની સાચી ઓળખ છે. આપણે વારસા અને વિકાસને જોડીને વિકસિત ભારતનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ યત્કિંચિત યોગદાન આપશે. તેમણે પદવી પ્રાપ્ત કરનાર સફળ વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીનીઓની વધુ સંખ્યા માટે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રપતિએ ન્યાય પ્રક્રિયામાં વિલંબના અનેક કારણોમાં વિશ્લેષણ અને પરીક્ષણ ઝડપથી નહીં થવાનું એક કારણ પણ મહત્વનું ગણાવ્યું હતું. નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના માધ્યમથી આ પ્રક્રિયા ઝડપી બનશે. તેમણે અપરાધીઓની નવી-નવી તકનીક સામે વધુ ક્ષમતા સાથે સજ્જ થવા સૌને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આવી સજ્જતાથી જ અપરાધીઓ અપરાધ કરતા ડરશે. એટલું જ નહીં, ન્યાય પ્રક્રિયા પણ વધુ ઝડપી બનશે. રાષ્ટ્રપતિશ્રીએ આ અવસરે વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે મંગળ શુભકામનાઓ પાઠવી હતી.
NFSU: A total of 1562 students of various courses were conferred degrees by the President