1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં સહકારી સંસ્થાઓમાં ભરતી અને ખરીદી પ્રશ્ને હાઈકોર્ટ માંગ્યો જવાબ
ગુજરાતમાં સહકારી સંસ્થાઓમાં ભરતી અને ખરીદી પ્રશ્ને હાઈકોર્ટ માંગ્યો જવાબ

ગુજરાતમાં સહકારી સંસ્થાઓમાં ભરતી અને ખરીદી પ્રશ્ને હાઈકોર્ટ માંગ્યો જવાબ

0
Social Share
  • સહકારી સંસ્થામાં કર્મચારીઓની નિયમ વગર જ ભરતી કરી દેવાય છે
  • સહકારી સંસ્થાઓમાં ઈ-ટેન્ડર દ્વારા જ ખરીદીનો નિયમ બનાવવો જોઈએ
  • કેસની વધુ સુનાવણી ફેબ્રુઆરીમાં કરાશે  

અમદાવાદઃ રાજ્યમાં સહકારી સંસ્થાઓમાં કર્મચારીઓની ભરતીના કોઈ નિયમો ન હોય ભરતીમાં સગાવાદ જોવા મળી રહ્યો છે, યોગ્ય અને મેરીટ પ્રમાણે કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. તેમજ સહકારી સંસ્થાઓ દ્વારા કરાતી ખરીદીમાં પારદર્શકતા જાળવવામાં આવતી નથી. અને ખરીદીમાં પણ ગેરરીતિ જોવા મળતી હોય છે. આથી ઈ-ટેન્ડરથી ખરીદી કરવા તેમજ કર્મચારીઓની ભરતી માટે નિયમો બનાવવાના સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન સહકારી સંસ્થાઓમાં ભરતી અને ખરીદી અંગે હાઇકોર્ટે નારાજગી દર્શાવી સહકારી વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને વ્યક્તિગત રીતે ખુલાસો કરવા આદેશ કર્યો છે.

ગુજરાતમાં અનેક સહકારી સંસ્થાઓમાં ભરતીની અને ખરીદીની પ્રક્રિયાના કોઇ નિયમો જ નહી હોવાની રજુઆત સાથે હાઇકોર્ટમાં રિટ કરવામા આવી છે. એમાં એવી રજુઆત કરાઇ હતી કે,સહકારી સંસ્થાઓમાં કર્મચારીઓની ભરતી કરવા માટે સરકારના કોઇ નિયમો ઘડવામાં આવ્યા નથી. રાજયભરમાં સહકારી સંસ્થામાં કુલ 3 લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.તે સિવાય સહકારી મંડળીઓ ઇ ટેન્ડર દ્વારા જ ખરીદી કરી શકે તેવો નિયમ બનાવવા દાદ માગવામાં આવી હતી. સરકાર તરફે યોગ્ય ખુલાસો નહી કરી શકાતા કોર્ટે સહકાર વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને સહકાર વિભાગમાં ભરતી અને ખરીદીના નિયમો શું છે તે અંગે વિગતવાર રિપોર્ટ કરવા આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટમાં અરજદાર દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે, રાજયભરમા 80 હજાર કરતા વધુ સહકારી મંડળીઓ અને 180 જેટલી કો.ઓ સહકારી બેંન્કો આવેલી છે. સહકારી ક્ષેત્રે 3 લાખ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.પરતું સરકાર પાસે સહકારી મંડળીઓમાં ભરતીની અને ખરીદીના કોઇ ચોક્કસ નિયમો ઘડવામાં આવ્યા નથી. જેના લીધે સહકારી ક્ષેત્રમાં લાગવગથી ભરતી કરવામાં આવે છે. સરકારે આટલા વર્ષોથી આ જગ્યા ખાલી રાખી છે,  જેના લીધે સહકારી ક્ષેત્રે ભ્રષ્ટાચારનો વ્યાપ વધ્યો ગયો છે. તે સિવાય સહકારી મંડળીઓમાં રોજબરોજ કરોડો રૂપિયાના ખરીદ વેચાણના વ્યવહાર થતા હોય છે પરતું તેમા ઇ ટેન્ડર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો નથી. હાઇકોર્ટે સહકાર વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને અંગતપણે સોંગદનામું કરવા આદેશ કરીને વધુ સુનાવણી ફેબ્રુઆરીમાં મુકરર કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code