વડોદરા, 5 મે 2026: Two die after drowning at Kotna beach on Mahisagar river શહેર નજીક મહીસાગર નદી પર આવેલા કોટના બીચ પર આજે વહેલી સવારે નહાવા ગયેલા 9 વ્યક્તિઓ ડુબી જતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને બચાવની ત્વરિત કામગીરી કરીને સાત વ્યક્તિઓને બચાવી લીધા હતા. જ્યારે બે વ્યક્તિના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આ ઘટનામાં નંદેસરી પોલીસ અને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી બે મૃતદેહોને બહાર કાઢી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મૃતકોની ઓળખ જય સુબોધ જોબલે અને કૃષ્ણા વિજય રાજપુત તરીકે થઈ છે. બંને વડોદરા વિસ્તારના વતની હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની વિગત એવી છે. કે, વડોદરા નજીક મહિસાગર નદી પરના કોટના બીચ પર નહાવા માટે નવ વ્યક્તિઓનું જૂથ પહોંચ્યું હતું. ત્યાં અચાનક પાણીમાં ડૂબવાની ઘટના બની, જેમાં બે વ્યક્તિઓના જીવ ગયા છે જ્યારે અન્ય સાત વ્યક્તિઓને સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમે બચાવી લીધા છે. નવ પૈકી કેટલાકને તરતાં આવડતું હતું, તેથી તેઓએ એકબીજાને પણ બચાવ્યા હતાં. ઘટનાથી બીચ પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થયાની સાથે વડીવાડી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને બંને મૃતકોની લાશોને બહાર કાઢી હતી. મૃતદેહોને નંદેસરી પોલીસને સોંપવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને બીચ પર સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અગાઉ પણ આ રીતની દુર્ઘટનાઓ સર્જાયેલ છે. હાલમાં ગરમીનો માહોલ હોવાથી લોકો અહીંયા નહાવા માટે જતા હોય છે.


