વડોદરા, 5 જુન, 2026 : 3 youths drowned while bathing in Narmada river જિલ્લાના કરજણ તાલુકાના રણાપુર ગામ નજીક નર્મદા નદીમાં રબારી સમાજના 5 યુવાનો નહાવા માટે ગયા હતા. 5 યુવકોમાંથી 3 યુવકો ઊંડા પાણી અને તેજ પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી 2 યુવકના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવકને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ, ગ્રામજનો અને કરજણ ફાયર વિભાગે તાત્કાલિક બચાવ અને શોધખોળ કામગીરી હાથ ધરી હતી. જોકે ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.
આ બનાવની વિગત એવી છે કે, કરજણ તાલુકાના રણાપુર ગામ નજીક આવેલી નર્મદા નદીમાં રબારી સમાજના 5 યુવકો નાહવા માટે ગયા હતા. દરમિયાન 3 યુવક નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગતા સ્થાનિક ગ્રામજનો દોડી આવ્યા હતા. અને એક યુવાનને બચાવી લેવાયો હતો. જ્યારે બે યુવનો પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગ, સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી શોધખોળ અને રેસ્ક્યુ કામગીરી દરમિયાન ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ સાગર પીરાભાઈ રબારી (ઉંમર 25 વર્ષ, હાલ રહે. કરમાલ ગામ, તા. ડભોઇ, જિ.વડોદરા, મૂળ રહે.ધાનેરા, બનાસકાંઠા) અને જયરામ બિજલાજી રબારી (ઉંમર 15 વર્ષ, રહે. કરમાલ ગામ, તા. ડભોઇ, જિ.વડોદરા, મૂળ રહે. ધાનેરા, બનાસકાંઠા) તરીકે થઈ છે. બંનેના મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી અને સમગ્ર રબારી સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. પોલીસે મૃતદેહને કરજણ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આ મામલે તપાસ શરૂ કરી છે.


