પાલનપુર, 13 મે 2026 : 37 thousand students dropped out of school ગુજરાતમાં શાળાઓમાં ભણતા બાળકોમાં ડ્રાપઆઉટની સંખ્યા વધતી જાય છે. ઘણા બાળકો પરિવારની આર્થિક સ્થિતિ કે સ્થળાંતરને લીધે અભ્યાસ અધૂરો છોડીને પરિવારને મદદ માટે કામે લાગી જતા હોય છે. ગુજરાતના બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં 37000 વિદ્યાર્થીઓએ ભણતર અધવચ્ચે છોડી દીધાનું એક સર્વે બાદ જાણવા મળ્યું છે. ખાસ કરીને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટનું પ્રમાણ વધુ હોવાનું શિક્ષણ વિભાગના સર્વેમાં બહાર આવ્યું છે. આથી જિલ્લાના શિક્ષણ અધિકારીઓ, શિક્ષકો અને કર્મચારીઓ ગામે ગામ જઈ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ફરી શાળામાં પ્રવેશ અપાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
ગુજરાતના બે જિલ્લા બનાસકાંઠા અને વાવ-થરાદમાં ધોરણ 1 થી 12ના અંદાજે 37,415 જેટલા વિદ્યાર્થીઓ અધવચ્ચેથી અભ્યાસ છોડીને શિક્ષણના મુખ્ય પ્રવાહથી દૂર થઈ ગયા છે. પરિવારની આર્થિક સ્થિતિ, જાગૃતિનો અભાવ તેમજ દીકરીઓની સુરક્ષાએ શિક્ષણ છોડાવ્યું છે. જેથી આ બાળકોનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું હતું. પરંતુ હવે શિક્ષણ વિભાગ આ બાળકોને મનાવવા મેદાનમાં ઉતર્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા આ બન્ને જિલ્લાના 14 તાલુકામાં મેગા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ખાસ કરીને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટનું પ્રમાણ વધુ હોવાનું શિક્ષણ વિભાગના સર્વેમાં બહાર આવ્યું છે. દાંતા, અમીરગઢ, થરાદ, ધાનેરા, કાંકરેજ, પાલનપુર અને ડીસા જેવા વિસ્તારોમાં આ સમસ્યા વધુ જોવા મળી રહી છે. આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર નીચું હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસથી દૂર થઈ રહ્યા છે.
શિક્ષણ વિભાગ બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત સક્રિય બન્યું છે. જિલ્લાના શિક્ષણ અધિકારીઓ, શિક્ષકો અને કર્મચારીઓ ગામે ગામ જઈ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ફરી શાળામાં પ્રવેશ અપાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે 32,078 જેટલા વિદ્યાર્થીઓનું વેરિફિકેશન કરી તેમના વાલીઓ, ગ્રામજનો અને સરપંચો સાથે બેઠક યોજી વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવ્યાં છે.


