
દિલ્હીમાં વાહનોની સંખ્યા ઘટી, મેટ્રોમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વાહનોની સંખ્યા અને લોકોના ટ્રાન્સપોર્ટ પેટર્નમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સરકારે જાહેર કરેલા સતત વિકાસ લક્ષ્યોની સ્થિતિ પર દિલ્હી સ્ટેટ ફ્રેમવર્ક ઈન્ડિકેટર રિપોર્ટ અનુસાર, વર્ષ 2015-16માં દરેક 1,000 લોકો પર 530 વાહનો નોંધાયા હતા, જે 2023-24માં ઘટીને 373 પર પહોંચી ગયા છે.
રાજ્યના ડીટીસી અને ક્લસ્ટર બસ બોર્ડના ફલોમાં પણ વધારો થયો છે. 2015-16માં આ બસોનો ફલો 5,842 હતો, જે 2023-24માં વધીને 7,485 થયો છે. જોકે, રોજ બસથી મુસાફરી કરનારા લોકોની સંખ્યા 45.9 લાખથી ઘટીને 42.4 લાખ થઈ ગઈ છે. બસ મુસાફરી ઘટવા છતાં દિલ્લી મેટ્રોએ આ સમયગાળામાં શાનદાર વૃદ્ધિ નોંધાવી છે. 2015-16માં રોજના 26.2 લાખ મુસાફરો મેટ્રો ઉપયોગ કરતા હતા, જે 2023-24માં વધીને 57.80 લાખ સુધી પહોંચી ગયો છે.
વાહનોની સંખ્યા ઘટતા માર્ગ અકસ્માતો પણ ઘટ્યા છે. 2015માં 8,085 અકસ્માતો નોંધાયા, જે 2021માં 4,720 પર પહોંચી ગયા, જ્યારે 2022માં આ આંક 5,560 થયો હતો. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબ, 2015માં 9,880 લોકો માર્ગ અકસ્માતમાં ઘાયલ અથવા મૃત થયા, જે 2021માં ઘટીને 5,228 અને 2022માં 6,174 થયા છે.. 2015-16માં 42.95% લોકો પાસે પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધા ઉપલબ્ધ હતી, જે 2022-23માં ઘટીને 40.80% થઇ, પરંતુ 2023-24માં આ આંક 45.83% સુધી સુધરી ગયો છે.
દિલ્લી સરકારે 2030 સુધી બધા નાગરિકોને સુરક્ષિત, કિફાયતી, સુવિધાયુક્ત અને ટકાઉ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે. આ યોજનામાં ખાસ ધ્યાન મહિલાઓ, બાળકો, વયસ્કો અને વિકલાંગોની જરૂરિયાતો પર આપવામાં આવશે.