- હૈદરાબાદ એરપોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો
- હૈદરાબાદ ATCએ ફ્લાઇટની ઈમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવી
- ફ્લાઈટમાંથી તમામ પ્રવાસીઓને ઉતારીને તપાસ કરવામાં આવી
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E058નું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હૈદરાબાદ એરપોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો કે ઈન્ડિગોની ફ્લાઈટમાં મક્કા મદીનાથી હૈદરાબાદ મુસાફરી કરી રહેલા મોહમ્મદ નામના વ્યક્તિએ કેપ્સ્યુલ ગળી છે. આ કેપ્સુલથી માનવ બોમ્બ એટેક થશે. આ મેલ બાદ હૈદરાબાદ ATCએ ફ્લાઇટની ઈમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવી હતી. મદીના હૈદરાબાદની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થતાં સુરક્ષા એજન્સીઓ દોડી ગઈ હતી. અને તમામ પ્રવાસીઓ અને તેના લગેજની તપાસ કરવામાં આવી હતી.
અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને હૈદરાબાદ ATCએ તાકીદનો સંદેશો પાઠવતા મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઇટને તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ પર બપોરે 12 વાગ્યે લેન્ડ કરાઈ હતી. ફ્લાઇટમાં 180થી વધારે પેસેન્જર અને 6 ક્રૂ મેમ્બર હાજર હતા. આ નાવની જાણ થતાં જ સુરક્ષા એજન્સીના જવાનો દોડી ગયા હતા. અને ફ્લાઈટમાંથી તમામ પ્રવાસીઓને ઉતારીને તપાસ કરવામાં આવી હતી. હૈદરાબાદ એરપોર્ટને ધમકીભર્યો જે ઈ-મેલ મળ્યો હતો કે ઈન્ડિગોની ફ્લાઈટમાં મક્કા મદીનાથી હૈદરાબાદ મુસાફરી કરી રહેલા મોહમ્મદ નામના વ્યક્તિએ કેપ્સ્યુલ ગળી છે. આ કેપ્સુલથી માનવ બોમ્બ એટેક થશે. આ મેલ બાદ હૈદરાબાદ ATCએ ફ્લાઇટની ઈમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવી હતી. પોલીસે ફ્લાઈટના તમામ પ્રવાસીઓની પૂછતાછ કરતા 40 જેટલા પ્રવાસીઓના નામ મોહમ્મદ હોવાનું સામે આવ્યું હતું.બાદમાં તમામ પ્રવાસીઓ અને લગેજનું ચેકિંગ કરાયું હતું. સાથે જ એજન્સીઓની તપાસ બાદ ફ્લાઇટને રવાના કરાઈ હતી. ધમકીભર્યા ઈ મેલને લઈને હૈદરાબાદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરશે.


