Homeગુજરાતીગુજરાતસરકારી તબીબો સહિત આરોગ્યના કર્મચારીઓ રખડતા કૂતરાની ગણતરી કરશે

સરકારી તબીબો સહિત આરોગ્યના કર્મચારીઓ રખડતા કૂતરાની ગણતરી કરશે

રાજકોટ, 27 ફેબ્રુઆરી 2026Government doctors and health workers will count stray dogs રખડતા કૂતરા ગણવાનું કામ પહેલા શિક્ષકોને સોંપાતા ભારે વિરોધ થયા બાદ શિક્ષણ વિભાગે ફેરવી તોળ્યું હતું. હવે સરકારી તબીબો અને આરોગ્ય વિભાગના સ્ટાફ પાસે રખડતા કૂતરા ગણતરીનું કામ સોંપાશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ હવે સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC), અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ના સંકુલમાં કેટલા રખડતા શ્વાનો છે તેની ગણતરી કરવાની જવાબદારી સરકારી તબીબો અને સ્ટાફને સોંપવામાં આવી છે.

 રાજકોટ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી આર.આર. ફૂલમાળીએ  જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના કમ્પ્લાયન્સ માટે રાજ્ય કક્ષાએથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં અધિક નિયામક આરોગ્ય, મેડિકલ સર્વિસિસ અને એજ્યુકેશન એમ ત્રણેય વિભાગોના સહી-સિક્કા સાથે સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાની તમામ PHC, CHC, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજોના પ્રીમાઈસીસમાં કેટલા શ્વાનો વસવાટ કરે છે તેની ચોક્કસ સંખ્યા જાણીને 3 માર્ચ સુધીમાં રિપોર્ટ સોંપવાનો રહેશે.

આરોગ્ય વિભાગ દ્વારા સરકારી તબીબો અને સ્ટાફને શ્વાન ગણતરીનું કામ સોંપાતા કચવાટ ઊભો થયો છે. સરકારી તબીબોને દર્દીઓની સારવાર અને વહીવટી કામગીરીનું ભારણ હોય છે, ત્યારે આ પ્રકારે શ્વાનોની ગણતરી કરવાની વધારાની જવાબદારી સોંપાતા તબીબી આલમમાં કચવાટ જોવા મળી રહ્યો છે. તબીબોનું માનવું છે કે આ કામગીરી અન્ય એજન્સીઓ કે નગરપાલિકાના સ્ટાફ પાસે કરાવવી જોઈએ. જોકે, જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આ સુપ્રીમ કોર્ટનો આદેશ હોવાથી તેનું પાલન કરવું અનિવાર્ય છે. PHC ના સ્ટાફ દ્વારા જ ગણતરી કરવામાં આવશે અને નક્કી કરેલી વર્કશીટમાં આ આંકડાઓ ભરીને મોકલવાના રહેશે.

સંબંધિત લેખો

Most Popular