જુનાગઢ, 18 મે 2026: AI technology will be used to prevent accidental deaths of lions on highways ગીર વિસ્તારમાં પસાર થતાં હાઈવે પર વાહનોની અડફેટે વન્યજીવોના મોત થઈ રહ્યા છે. તાજેતરમાં ભાવનગર-સોમનાથ હાઈવે પર કારની અડફેટે સિંહબાળનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત એક દીપડાનું પણ કોઈ અજાણ્યા વાહનની અડફેટે મોત નિપજ્યું હતું. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે વન વિભાગ હવે સિંહો અને અન્ય વન્યજીવોના સંભવિત અકસ્માતો અટકાવવા ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (AI) અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.
આધુનિક સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ હવે જીવનના દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે. આ જ ટેકનોલોજીનો ઉપયોગ હવે તબક્કાવાર સમગ્ર ગીરમાં સિંહને અકસ્માતોથી બચાવવા માટે થવા જઈ રહ્યો છે જેના માટે વન વિભાગે સંપૂર્ણ તૈયારી શરૂ કરી દીધી છે. સાસણ ખાતે આવેલા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ સિહોના સંભવિત અકસ્માતોને લઈને ચિંતિત છે. વન વિભાગ જે વિસ્તારમાં સતત સિંહોની હાજરી જોવા મળે છે અને એ જ વિસ્તારમાં વાહનોની સંખ્યા પણ સતત વધારે જોવા મળે છે તેવા નિર્ધારિત સ્થળોને પસંદ કરીને તે વિસ્તારમાં AIનો ઉપયોગ કરી સિંહોને સંભવિત અકસ્માતથી બચાવવામાં આવશે.
વન વિભાગ દ્વારા ગીરના સંવેદનશીલ વિસ્તારોમાં આ માટેનો એક ખાસ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ હાઈટેક પ્રોજેક્ટ અંતર્ગત પ્રવાસીઓથી ધમધમતા માર્ગો પર વાહનોની ગતિ મર્યાદા જાળવવા આધુનિક CCTV કેમેરા અને સ્પીડ ડિસ્પ્લે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે જોડવામાં આવ્યા છે, જેથી બેફામ દોડતા વાહનો સામે કડક દંડનીય કાર્યવાહી કરી સિંહોના અમૂલ્ય જીવનને સુરક્ષિત કરી શકાય.
સમગ્ર ગીર વિસ્તારમાં સિંહોની સુરક્ષા અને અકસ્માત ઘટાડી શકાય તે માટે આધુનિક CCTV કેમેરા વાણીયાવાવ નાકાથી લઈને સાસણ ગીર સુધીના વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સિંહોની હાજરી સતત જોવા મળે છે. વધુમાં આ માર્ગ 24 કલાક પ્રવાસીઓથી પણ ધમધમતો હોય છે જેથી આ માર્ગ પર CCTV લગાવવાની સાથે અહીંથી પસાર થતા પ્રત્યેક વાહનને 30 કિલોમીટરની ગતિ મર્યાદામાં વાહન ચલાવવાના દિશા નિર્દેશો પણ આપવામાં આવ્યા છે. વાહન ચાલક સ્વયંમ માર્ગ પર લગાવેલા આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ડિસ્પ્લે પર તેમના વાહનની ગતિ કેટલી છે તે જોઈ શકે છે. જે કેમેરા અને આધુનિક ટેકનોલોજીના ડિવાઇસ માર્ગ પર લગાવવામાં આવ્યા છે તે તમામ કેમેરા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે વાણીયા વાવ અને સાસણ ખાતે જોડાયેલા છે. અહીંથી પ્રત્યેક વાહનની ગતિવિધિની નોંધ રાખવામાં આવે છે. જો કોઈ પણ વાહન ચાલક નિયમોનો ભંગ કરતો જોવા મળશે તેની સામે દંડનીય અપરાધની કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવશે. ગીરના અન્ય વિસ્તારો તેમજ અમરેલીમાં રાજુલા હાઈવે પર પણ AIનો ઉપયોગ કરી સિંહોને સંભવિત અકસ્માતથી બચાવવામાં આવશે.


