1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણીના મુદ્દે લોકોનું આંદોલન, 10ની અટકાયત
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણીના મુદ્દે લોકોનું આંદોલન, 10ની અટકાયત

વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણીના મુદ્દે લોકોનું આંદોલન, 10ની અટકાયત

0
Social Share

વડોદરા, 3 જુન, 2026 : People protest over contaminated water issue શહેરના યાકુતપુરા વિસ્તારના મદાર મોહલ્લાના રહીશોએ દૂષિત પાણીની સમસ્યાથી કંટાળી આજે રસ્તા રોકો આંદોલન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક રહિશોના દૂષિત પાણીના પ્રશ્ને રસ્તા રોકો આંદોલનને લીધે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે કાર્યવાહી કરીને 10થી વધુ લોકોની અટકાયત કરી માર્ગ વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો.

વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં વોર્ડ નંબર-6માં છેલ્લા ઘણા સમયથી ગટરમિશ્રિત દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે. આ ગંભીર સમસ્યાને લઈને અગાઉ પણ અનેક વખત મ્યુનિસિપલ કોર્પોરેશનની ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય કચેરીએ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. દૂષિત પાણીને લીધે આ વિસ્તારમાં બિમારીનું પ્રમાણ પણ વધ્યું છે. આથી તંત્રને ઢંઢોળવા માટે  આજે 50થી વધુ મહિલાઓ સહિત સ્થાનિકોએ યાકુતપુરાના મુખ્ય માર્ગ પર એકત્ર થઈ પાણીના પ્રશ્ને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓની મુખ્ય માંગ હતી કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્થળ પર આવી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે.

 સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પાણીની લાઈન નાખવામાં આવી હોવા છતાં તેને હજુ સુધી કાર્યરત કરવામાં આવી નથી. પરિણામે જૂની અને ખામીયુક્ત લાઈનમાંથી જ પાણીનું વિતરણ થઈ રહ્યું છે, જેના કારણે આશરે 3 હજારથી વધુ લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી સતત રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળ્યા છે. અધિકારીઓ અનેક વખત સમસ્યાનો ઉકેલ લાવવાના વાયદા કરી ચૂક્યા છે, પરંતુ જમીન પર કોઈ અસરકારક કાર્યવાહી જોવા મળી નથી. રહીશોએ આરોપ લગાવ્યો હતો કે તંત્ર સમસ્યાની ગંભીરતા સમજવામાં નિષ્ફળ રહ્યું છે અને જવાબદાર અધિકારીઓ વિસ્તારની મુલાકાત લેવા પણ તૈયાર નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code