
અમદાવાદઃ મકરબા ખાતે ઈ.ડબ્લ્યુ.એસ. આવાસોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવનો કોંગ્રેસનો આક્ષેપ
અમદાવાદઃ શહેરના છેવાડે મકરબા ખાથે ઈડબ્લ્યુએસ આવાસની ફેબ્રુઆરી મહિનામાં ફાળવણી કરવામાં આવી હતી. જો કે, અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી પઝેશન મળવા છતા અનેક પરિવારો રહેવા આવ્યા નહીં હોવાનો દાવો મનપાના વિપક્ષે કર્યો હતો. અહીં પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે અહીં તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માંગણી કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુ.કોર્પો.દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ફૈઝ-૪ પેકેજ-૧૨ અંતર્ગત સરખેજ વોર્ડના મકરબા ખાતે ટી.પી.૮૪/એ માં એફ.પી. ૯૮/૧, ૯૮/૨માં ગરીબ લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબ આવાસ યોજનાના ૧૫૧૨ આવાસો બનાવવા માટે મે-૨૦૧૭માં વર્કઓર્ડર આપેલ ત્યારબાદ સપ્ટે-૨૦૧૭ માં બાંધકામ રજાચીઠી મળેલ ત્યારબાદ નવે. ૨૦૨૩ માં બી.યુ.પરમીશન મળ્યાં બાદ એપ્રીલ-૨૦૧૮ માં તમામ આવાસોનો ડ્રો કરેલ પછી ફેબ્રુ- ૨૦૨૪ માં લોકાર્પણ કરવામાં આવેલ હતાં તે તમામ આવાસો મ્યુ.કોર્પો. દ્વારા જરૂરિયાત લોકોને ફાળવેલ હતાં પરંતુ પઝેશન આપ્યાને મહિનાઓ વીતી જવા છતાં હજુ સુધી પ્રાથમિક જરૂરિયાત એવી પીવાના પાણીની સુવિધા આપવામાં આવેલ નથી જેને કારણે પઝેશન લેવા છતાં ગરીબ પરિવારો ત્યાં રહેવા જવા તૈયાર નથી. જેથી તમામ આવાસો બંધ અને બીનવપરાશ રહેવા પામેલ છે ગરીબ આવાસોનું પઝેશન આપતાં પહેલાં તમામ પ્રાથમિક સુવિધા પહેલાં ઉપલબ્ધ કરાવવી જોઇએ ત્યારબાદ પઝેશન આપવા જોઈએ. જી.ડી.સી.આર.ના નિયમ મુજબ બી.યુ.પરમીશન આપતાં પહેલાં તમામ પ્રાથમિક સુવિધા જેવી કે લાઈટ, પાણી, ગટર, ફાયર સેફટી, વિ. હોવી જરૂરી છે તો પછી ગરીબ લોકોને આવાસો ફાળવતાં પહેલાં મ્યુ.તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધા આપવા બાબતે કેમ ઉદાસીન છે તે સમજાતું નથી નવે.૨૦૨૩ માં આવાસોની બી.યુ.પરમીશન મળી ગયેલ જેથી મ્યુ.કોર્પો.દ્વારા જ જી.ડી.સી.આર.ની ગાઇડ લાઇનનો ભંગ કરવામાં આવે અને ગરીબ લોકોના મકાનના પુરેપુરા નાણાં પણ વસુલી લેવાય અને પ્રાથમિક સુવિધા આપવામાં દુ;લક્ષ સેવાય કેમ તે ગરીબ લોકો છે માટે ? પીવાના પાણી તથા અન્ય પ્રાથમિક સુવિધા નહી હોવાના કારણે લોકો રહેવા જવાં તૈયાર નથી જેથી આવાસો બંધ રહેતાં જર્જરીત થવાના તેમજ અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદે પ્રવૃતિઓ થવા પામે તેવી પુરેપુરી સંભાવના રહેલી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ ભાજપ દ્વારા સ્લમ ફ્રી સીટી – સ્લમ ફ્રી ભારત બનાવવાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે અને ગરીબ લોકોના હક્ક છીનવી રહી છે કરોડોના ખર્ચે પ્રજાના નાણાં માંથી ગરીબો માટે બનેલા આવાસોનું પઝેશન આપતાં પહેલાં પ્રાથમિક સુવિધા શા માટે પુરી પાડવામાં નથી આવતી ? તા. ૧૦-૦૨-૨૦૨૪ ના રોજ ઈ.ડબ્લ્યુ.એસ. આવાસોનું લોકાપર્ણ કરવા છતાં તેમજ મ્યુ.કોર્પો.પાસે આવાસો તૈયાર હોવા છતાં તે આવાસોમાં પાણીની સુવિધા જ નહી તો પછી લોકાપર્ણ કરવા બાબતે આટલી ઉતાવળ કેમ ? સત્તાધારી ભાજપના માત્ર તે સમયે લોકસભાની ચૂંટણીલક્ષી હિતને કારણે પ્રજાનાં પરસેવાના ટેક્ષના કરોડો રૂા.ના નાણાંનો દુરપયોગ થાય જેથી ગરીબ લોકો હેરાન પરેશાન થાય તે બાબતે જવાબદાર કોણ ? આ તમામ બાબતો અંગે તમામ જવાબદાર લોકો સામે કડક પગલાં ભરવા તેમજ ઉપરોક્ત તમામ આવાસોમાં પીવાના પાણી તેમજ અન્ય પ્રાથમિક સુવિધા તાકીદે પુરી પાડવા માટેની કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.