અંબાજી, 19 માર્ચ 2026: Devotees throng Ambaji on the first day of Chaitri Navratri આજથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થયો છે. માતાજીની આરાધના માટે ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહાત્મ્ય છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી ખાતે આજે માતાજીના દર્શન અને પૂજા-અર્ચન માટે મોટી સંખ્યામાં ભાવિકો ફમટી પડ્યા હતા. મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી અને ઘટ્ટ સ્થાપના કરવામાં આવી હતી.
ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા સુપ્રસિધ્ધ અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠોમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. નવરાત્રીના પ્રારંભે મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જેના કારણે ભક્તિમય માહોલ સર્જાયો હતો. વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.મંગળા આરતી બાદ મંદિરના વહીવટદાર અને ભટ્ટજી મહારાજની અધ્યક્ષતામાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ઘટ્ટ સ્થાપના વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સરસ્વતી નદીના જળનો ઉપયોગ કરીને વૈદિક મંત્રોચ્ચાર સાથે ઝવેરાનું સ્થાપન કરાયું હતું, ત્યારબાદ આરતી પણ કરવામાં આવી હતી. ચૈત્ર સુદ બીજથી ચૈત્ર સુદ આઠમ સુધી દરરોજ સવારે અંબાજી મંદિરમાં બે મંગળા આરતી કરવામાં આવશે. આ પવિત્ર અવસરે વડોદરાથી મોટી સંખ્યામાં બહેનો દર્શન કરવા આવ્યા હતા અને મંદિરના ચાચર ચોકમાં ગરબા રમીને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.


