
- ધોળાવીરામાં તમામ સ્થળોએ સલામતી માટે વ્યવસ્થા કરવાની માગ ઊઠી
- રાષ્ટ્રપતિના આગમન પહેલા પગથિયા અને રેલીંગની સુવિધા ઊભી કરવામાં આવી
- પુરાતત્વ વિભાગ પગથિયાવાળી વાવ કહે છે તે શેલોર વાવ નથી પણ હોજ છે
ભૂજઃ જિલ્લાના ધોળાવીરાના આતિહાસિક હડપા નગર વ્યવસ્થા નિહાળવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે હડપ્પાનગરના કેટલાક ઐતિહાસિક સ્થળોની સાચવણી માટે કાચની આડસ મૂકી સલામતી ઉભી કરાઇ છે. ત્યારે તમામ આતિહાસિક સ્થળોએ આ સુવિધા ઉભી કરાય તેવી માગ ઊઠી છે.
કચ્છમાં તાજેતરમાં બે દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધોળાવીરા સ્થળની મુલાકાત લીધી હતી. આ સ્થળે આધુનિક પગથિયા ઉત્તર દિશાના દરવાજે નખાયા છે તેમજ રેલીંગ પણ નખાઇ છે, જે સુવિધા વયોવૃધ્ધ પ્રવાસીઓ માટે ઉપયોગી બની છે. જો કે, અહીં આધુનિક પગથિયા બનતાં પૌરાણિક પગથિયા દટાઇ ગયા છે. જો અહીં મજબૂત અને પારદર્શક કાચના પગથિયા બનાવાય તો પૌરાણિક પગથિયા પણ લોકો જોઇ શકે તેમ છે. તે જ રીતે સમગ્ર કૂવાને પણ કાચથી ઢાંકવાની જરૂર છે. પગથિયા વાળી વાવ તરીકે પુરાતત્વ વિભાગ જેને ઓળખાવે છે તે શેલોર વાવ નથી પણ હોજ છે.
ધોળાવીરાના હડપ્પાનગરમાં અનેક બેનમુન ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે. અને તેની ફોટોફ્રેમ તો બનાવવામાં આવી છે. એકધારા પવનના કારણે રઝકણો, માટી ઉડીને નગર પર પથરાતાં તેની ઓળખ ભુંસાઇ રહી છે ત્યારે આ નગરની ફરતે કાચની આડસ મૂકવાની કામગીરી હાથ ધરાઇ હતી. જે રાષ્ટ્રપતિ આવવાના હોઇ કામમાં ગતી આવી હતી અને કામ પૂર્ણ કરાયું હતું ત્યારે સમગ્ર સ્થળની ફરતે આવી આડસ મૂકાય એવી સ્થાનિક લોકો માગ કરી રહ્યા છે.