1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત રાજ્યના વન વિભાગમાં 800 ઉપરાંત યુવાઓનું વર્કફોર્સ ઉમેરાયું
ગુજરાત રાજ્યના વન વિભાગમાં 800 ઉપરાંત યુવાઓનું વર્કફોર્સ ઉમેરાયું

ગુજરાત રાજ્યના વન વિભાગમાં 800 ઉપરાંત યુવાઓનું વર્કફોર્સ ઉમેરાયું

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ. અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ ૨૫મી ડિસેમ્બર સુશાસન દિવસે રાજ્યના વન વિભાગમાં ૮૦૦ ઉપરાંત નવ યુવાઓને નવી નિમણૂંકના નિયુક્તિ પત્રો એનાયત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રીશ્રી સ્વ. અટલબિહારી વાજપેયીના જન્મદિવસ ૨૫મી ડિસેમ્બરને૨૦૧૪થી સુશાસન દિવસ તરીકે ઉજવવાની શરૂ કરેલી પરંપરાને નિયુક્તિ પત્ર વિતરણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગળ ધપાવી હતી. 

તેમણે કહ્યું કે, શાસન વ્યવસ્થામાં ગરીબ, સામાન્ય માનવીને કેન્દ્રસ્થાને રાખીને અટલ બિહારીજીએ સેવા-સુશાસન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ સુશાસનના લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા સેચ્યુરેશનનો જે કાર્ય મંત્ર અપનાવ્યો છે તેને સાકાર કરવામાં મેનપાવર-વર્કફોર્સની ભૂમિકા મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યુવાશક્તિના કૌશલ્ય અને સામર્થ્યને જનસેવામાં જોડવા સરકારે પારદર્શિતાથી સમયબદ્ધ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરી છે. યુવાશક્તિના ડેમોગ્રાફિક ડિવિડન્ડને રાજ્યના વિકાસમાં યોગદાન આપવા આપણે સજ્જ બનાવવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ફોરેસ્ટ ફોર્સમાં જોડાઈ રહેલા નવનિયુક્ત યુવાઓને પર્યાવરણ રક્ષા અને વનોના જતન સંવર્ધન સાથે રાજ્યની વિકાસ યાત્રામાં સહભાગી થવા પ્રેરક આહવાન પણ કર્યું હતું. તેમણે વિકસિત ભારત @ ૨૦૪૭ માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં આ નવનિયુક્ત યુવાઓ પ્રકૃતિ અને માનવ જાતના કલ્યાણ માટે સેવારત રહેશે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો. ગુજરાતના વિકાસ રોલ મોડલને નવી વૈશ્વિક ઊંચાઈ આપવામાં પણ આ નવનિયુક્ત વન કર્મીઓના યોગદાનની અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

વન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આજે શ્રી અટલજીની યાદમાં ગુજરાત સહિત દેશભરમાં સુશાસન દિવસ ઉજવવામાં આવે છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુશાસન  થકી ગુજરાતને આગવી ઓળખ અપાવી છે તેને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે. આજે વન વિભાગમાં મોટી સંખ્યામાં મદદનીશ વન સંરક્ષક અને વનરક્ષકની નવી ભરતી કરીને સુશાસન દિવસને સાચા અર્થમાં ઊજવણી કરવામાં આવી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતી નવી પેઢી આગામી સમયમાં વન અને વન્ય જીવના રક્ષણ માટે મહત્વની ભૂમિકા ભજવશે તેમ જણાવી વન મંત્રીએ નવનિયુક્ત કર્મયોગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.      

વન મંત્રીએ જણાવ્યું હતું કે, માનવ અને વન્ય પ્રાણી વચ્ચે ઘર્ષણ અટકાવવા માટે મોરબી, જાંબુઘોડા, કચ્છ, જામનગર અને દ્વારકામાં રેસ્ક્યુ-ટ્રીટમેન્ટ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓને પુરતી સુવિધા ઉપલબ્ધ કરાવવા સિંહ દર્શન માટે બરડા તેમજ આંબરડી ખાતે સફારીની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સિંહ, દિપડા, રિંછ અને વિવિધ પક્ષીઓની વૈજ્ઞાનિક પદ્ધતિથી ગણતરી પણ કરવામાં આવે છે. વન મંત્રીએ કહ્યું હતુ કે, ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે એગ્રો ફોરેસ્ટ્રી અંતર્ગત વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩-૨૪માં શહેરી વિસ્તારમાં ૨૦ થી ૨૫ જેટલા અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે. 

રાજ્ય કક્ષા મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુશાસનનો અર્થ પારદર્શક કામગીરી સાથે અસરકારક શાસન થાય છે. આજે જ્યારે વન રક્ષકોને નિમણૂક પત્ર એનાયત થયા છે ત્યારે વન રક્ષણ સહિત વનમાં થતા ગેરકાયદેસર શિકારને અટકાવવા તેમજ સ્થાનિક પરિવારો સાથે પારિવારિક ભાવના સાથે કાર્યો કરવા તે દરેક વનરક્ષકની જવાબદારી બને છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ એક પેડ માં કે નામઅભિયાનમાં સમગ્ર દેશને વૃક્ષ વાવવા તેમણે આહવાન કર્યું હતું જેનાથી વૃક્ષો અને પ્રકૃતિ સાથે સૌની આત્મીયતામાં વધારો થશે. સુશાસન દિવસનિમિત્તે મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે સેવા, સંકલ્પ અને સુશાસનના બે વર્ષ”, “Best Practices of Forest” અને ભારતીય વરુની ગુજરાતમાં હાજરી અંગે ‘Atlas of Indian Wolf Habitats in Gujarat” એમ ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. વન અને વન્ય જીવ સંરક્ષણમાં વન રક્ષકની ભૂમિકા દર્શાવતી એક દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code