વડોદરા, 8 મે 2026: One killed in car accident દિલ્હી-મુંબઈ હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. આ એક્સપ્રેસ હાઈવે પર સાવલી તાલુકાના પસવા ગામ પાસે રાજસ્થાનથી લગ્ન પ્રસંગ પતાવી મુંબઈ પરત ફરી રહેલા પરિવારની અર્ટિગા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં દિનેશકુમાર જૈન નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, નવી મુંબઈના વાસી વિસ્તારમાં રહેતા દિનેશકુમાર નક્ષત્રમલ જૈન (ઉં.વ. 50) તેમના પત્ની સુશીલાબેન, પુત્રી ઝીલ અને મિત્ર ચંદ્રકાંતભાઈ અરુણકુમાર સાથે રાજસ્થાન ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી પોતાની અર્ટિગા કાર લઈને તેઓ મુંબઈ પરત ફરી રહ્યા હતા. ત્યારે સાવલી તાલુકાના પસવા ગામ નજીક દિલ્હી-મુંબઈ હાઈવે પરના નાળા પાસે કારચાલક ચંદ્રકાંતભાઈએ અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.અને કાર રોડ વચ્ચે આવેલી ખાલી જગ્યામાં ફંગોળાઈને પલટી મારી ગઈ હતી.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર દિનેશકુમાર જૈનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવી કારના દરવાજા તોડીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ અકસ્માતની ઘટનામાં ઝીલ દિનેશકુમાર જૈન, સુશીલાબેન જૈન, ચંદ્રકાંતભાઈ સનાઢ્ય (ચાલક) ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક ત્રણેય વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતક દિનેશકુમારના પાર્થિવ દેહને વડોદરાની એસ.એસ.જી. (SSG) હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે.


