1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરમાં ‘ઝીરો ટેરર પ્લાન’ માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છેઃ અમિત શાહ
જમ્મુ-કાશ્મીરમાં ‘ઝીરો ટેરર પ્લાન’ માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છેઃ અમિત શાહ

જમ્મુ-કાશ્મીરમાં ‘ઝીરો ટેરર પ્લાન’ માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છેઃ અમિત શાહ

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકોની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકો ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે 4 અને 5 ફેબ્રુઆરી, 2025ના રોજ યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોના અનુસંધાનમાં થઈ હતી. કેન્દ્રીય ગૃહ સચિવ, ડિરેક્ટર (આઇબી), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના ડિરેક્ટર જનરલ્સ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકોમાં હાજર રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ‘આતંકમુક્ત જમ્મુ અને કાશ્મીર’ માટે કટિબદ્ધ છે. તેમણે આતંકવાદ મુક્ત જમ્મુ-કાશ્મીરનાં લક્ષ્યાંકને હાંસલ કરવા અર્ધસૈનિક દળોની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. ગૃહ મંત્રીએ બીએસએફને મજબૂત તકેદારી રાખીને, સરહદની ગ્રીડને મજબૂત કરીને અને દેખરેખ અને સરહદની સુરક્ષા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સરહદો પરથી શૂન્ય ઘૂસણખોરી સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી.

અમિત શાહે સીઆરપીએફને સૂચના આપી હતી કે, તેઓ ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે તાલમેળ જાળવી રાખે. તેમણે સી.આર.પી.એફ.ના શિયાળુ એક્શન પ્લાનની સમીક્ષા કરી અને વિસ્તારના વર્ચસ્વમાં કોઈ ગાબડું ન પડે તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો. શ્રી શાહે જમ્મુ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ઊંચાઈઓ પર પ્રભુત્વ મેળવવાની સૂચના આપી હતી.

ગૃહ મંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત ગુપ્તચર તંત્રની પણ સમીક્ષા કરી અને ગુણવત્તાયુક્ત ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે કવરેજ અને પહોંચ વધારવા નિર્દેશ આપ્યો. શાહે ઉમેર્યું હતું કે, આતંકવાદનાં ધિરાણ પર નજર રાખવી, નાર્કો-ટેરરનાં કેસો પર કડક પકડ મેળવવી અને જમ્મુ અને કાશ્મીરમાં સંપૂર્ણ આતંકવાદી ઇકોસિસ્ટમનો નાશ કરવો એ મોદી સરકારની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ‘ઝીરો ટેરર પ્લાન’ માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગૃહ મંત્રીએ રાષ્ટ્રવિરોધી તત્ત્વો દ્વારા કરવામાં આવતા નકારાત્મક પ્રચારનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ નિર્દેશ આપ્યો હતો. જેથી સાચું ચિત્ર જાહેર ક્ષેત્રમાં મૂકવામાં આવે. તેમણે એજન્સીઓ વચ્ચે તાલમેલ ચાલુ રાખવાની સૂચના આપી હતી અને ટેકનોલોજી અપનાવવા અને ઇન્ટેલિજન્સ વધારવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાબૂદ કરવા માટે તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા અને સુમેળમાં કામ કરવાનું ચાલુ રાખવાની સૂચના આપી હતી. તેમણે ખાતરી આપી હતી કે, આ પ્રયાસમાં તમામ સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code