ભૂજ, 24 એપ્રિલ 2026: ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતાં ગુજરાત બહાર જતી તમામ ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે ખાસ ટ્રેનો વિશેષ ભાડામાં દોડાવવામાં આવી રહી છે. ત્યારે પશ્ચિમ રેલ્વેએ ગાંધીધામ-માલદા ટાઉન વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આવતી કાલે 25 એપ્રિલથી શરૂ થનારી આ ટ્રેન પાલનપુર સહિત માર્ગમાં 25થી વધુ સ્ટેશનો પર રોકાશે અને ACથી લઈ જનરલ કોચ સુધીની સુવિધાઓ સાથે મુસાફરોને રાહત આપશે.
ઉનાળાનું વેકેશન અને લગ્નગાળાની સીઝનને લીધે પ્રવાસીઓની ભીડને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વેએ ગાંધીધામ-માલદા ટાઉન વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નં.09463 ગાંધીધામથી 25 એપ્રિલે બપોરે 12:30 વાગ્યે ઉપડશે જે ત્રીજા દિવસે સવારે 9:10 વાગ્યે માલદા ટાઉન પહોંચશે. જ્યારે 27 એપ્રિલે માલદા ટાઉનથી સાંજે 17:35 વાગ્યે નીકળી ત્રીજા દિવસે બપોરે 15:30 વાગ્યે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં સામાખ્યાલી, રાધનપુર, ભીલડી, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, આગ્રા, પ્રયાગરાજ, પટના સહિત 25થી વધુ સ્ટેશનો પર રોકાશે, જેના કારણે ઉત્તર અને પૂર્વ ભારત તરફ જતા મુસાફરોને સીધી સુવિધા મળશે.
પ્રવાસીઓ માટે ટ્રેનમાં AC 2-ટિયર, AC 3-ટિયર, સ્લીપર અને જનરલ કોચ ઉપલબ્ધ રહેશે. આ ટ્રેન માટેનું બુકિંગ 24 એપ્રિલથી PRS કાઉન્ટર તથા IRCTC વેબસાઈટ પર શરૂ થશે.


