
નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, બહુપક્ષવાદના દબાણના સમયમાં બ્રિક્સ તર્ક અને રચનાત્મક પરિવર્તનનો મજબૂત અવાજ છે. ડૉ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્ર દરમિયાન ન્યૂયોર્કમાં બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં આ વાત કરી હતી. વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે આ અશાંત વિશ્વમાં બ્રિક્સએ શાંતિ નિર્માણ, સંવાદ, રાજદ્વારી અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવાના તેના સંદેશને મજબૂત બનાવવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે બ્રિક્સએ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો, ખાસ કરીને UN સુરક્ષા પરિષદમાં વ્યાપક સુધારા માટેના સામૂહિક આહવાનને વધુ મજબૂત બનાવવું જોઈએ.
વેપાર પ્રવાહ અંગે વધતા સંરક્ષણવાદ, ટેરિફ અસ્થિરતા અને બિન-ટેરિફ અવરોધોની અસર પર ભાર મૂકતા ડૉ. જયશંકરે કહ્યું, બ્રિક્સએ બહુપક્ષીય વેપાર પ્રણાલીનું રક્ષણ કરવું જોઈએ. ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે ટેકનોલોજી અને નવીનતા બ્રિક્સ સહયોગના આગામી તબક્કાને વ્યાખ્યાયિત કરશે.બાદમાં ડૉ. જયશંકરે ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા-IBSA સંવાદ મંચની મંત્રીસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં, IBSA એ UN સુરક્ષા પરિષદમાં પરિવર્તનશીલ સુધારા માટે ભારપૂર્વક હાકલ કરવામાં આવી હતી.
અગાઉ ડૉ. જયશંકરે કોલંબિયાના વિદેશ મંત્રી રોઝા યોલાન્ડા વિલાવિસેન્સિઓ સાથે ભારત લેટિન અમેરિકન એન્ડ કેરેબિયન દેશો (CELAC)ની બેઠકનું સહ-અધ્યક્ષતાપદ પણ સંભાળ્યું હતું. કૃષિ, વેપાર, આરોગ્ય, ડિજિટલ ટેકનોલોજી, માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં હાલના વ્યાપક સહયોગને મજબૂત બનાવવા પર સંમતિ સધાઈ હતી. ડૉ. જયશંકરે સંયુક્ત આરબ અમીરાત, રશિયા, ઇન્ડોનેશિયા, ઑસ્ટ્રિયા, ક્યુબા, રોમાનિયા અને સિએરા લિયોનના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.