સુરેન્દ્રનગર, 22 માર્ચ 2026: Damage caused to Agarias by cyclone કચ્છના નાના રણમાં ગઈ તા. 19મી માર્ચને ગુરૂવારે આવેલા વિનાશક વાવાઝોડામાં મીઠું પકવતા અગરીયા સમુદાયની સોલાર પેનલો ફંગોળાવવાની સાથે મીઠા ઉધોગને મોટું નુકશાન થયુ હતું. તેથી અગરિયાઓ તેમજ સ્થાનિક નેતાઓ દ્વારા નુકસાનીના વળતરની માગ કરવામાં આવી હતી. એટલે સરકાર દ્વારા મીઠું પકવતા અગરિયા સમુદાયને નુકશાનીનો પ્રથમ વખત સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા ઉધોગ કેન્દ્ર કચેરીનો સ્ટાફ રણમાં ઝુપડે ઝુપડે જઈ મીઠું પકવતા અગરિયાઓને થયેલા નુકશાનનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કરી સરકારને મોકલાવશે.
કચ્છના નાના રણમાં હાલ મીઠું પકવવાની સીઝન ચાલી રહી છે. અગરિયાઓ કાળી મજુરી કરીને મીઠું પકવી રહ્યા છે. ત્યારે ગઈ તા.19મી માર્ચે વાવાઝોડા સાથે કમોસમી વરાસદ પડતા અગરિયાની હાલત કફોડી બની છે. ભીષણ વાવાઝોડાએ રણવિસ્તારમાં રહેતા અગરિયા સમુદાયને મુશ્કેલીમાં મૂકી મોંમાં આવેલો કોળિયો ઝૂંટવી લીધો છે. વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે આશરે 15થી 20 કરોડ રૂપિયાનું નુકસાન થયાના પ્રાથમિક અહેવાલ સામે આવ્યો હતો. આ વિનાશક વાવાઝોડાના કારણે મીઠાના ઉત્પાદન માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી સોલર વોટર-પમ્પિંગ સિસ્ટમો સ્ટેન્ડ સાથે ઉખડી ગઈ છે. આ સાથે જ ક્રિસ્ટલાઇઝરમાં પાકેલાં મીઠા પર ધૂળ અને રણની માટીનો થર જમા થતાં હજારો ટન મીઠું ખરાબ થઈ ગયું છે. કચ્છના નાના રણના ખારાઘોડા, ઝીંઝુવાડા, મીઠાઘોડા, નાગબાઈ, ધાંગધ્રા, હળવદ, મોરબી, આડેસર, સાંતલપુર સહિતના વિસ્તારોમાં આપત્તિજનક સ્થિતિ સર્જાઈ છે. આથી અગરિયાઓને નકસાનીની સહાય આપવાની માગ ઊઠી હતી. તાત્કાલિક સરકારી સર્વે કરી નુકસાનીનો વાસ્તવિક ખ્યાલ મેળવવો., અસરગ્રસ્ત અગરિયા પરિવારોને તાત્કાલિક રાહત અને કેશ-ડોલ ચૂકવવા., સોલર પેનલો અને મીઠા ઉત્પાદનના સાધનોના પુન:સ્થાપન માટે તાત્કાલિક સહાય પૂરી પાડવી., નર્મદાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવની રજુઆત કરાતા સરકારે નકસાનીના સર્વે કરાવવાનો નિર્ણય લીધો છે.


