મૂલ્યો, સંસ્કાર અને જ્ઞાનની ત્રિવેણીને અવિરત જાળવી રાખવી એ આપણું દાયિત્વ છેઃ મોદી
અમદાવાદ, 31 માર્ચ 2026: Inauguration of the ‘Emperor Samprati Museum વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના કોબા ખાતે મહાવીર જયંતી નિમિત્તે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું હતુ. આ પ્રસંગે રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના આશીર્વાદ લીધા હતા. કોબા તીર્થથી દેશવાસીઓને મહાવીર જયંતીની શુભકામના પાઠવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, , અહીં મૂલ્યોનું સંરક્ષણ થાય છે, સંસ્કારને સંબલ મળે છે અને જ્ઞાનનું પોષણ થાય છે. આ ત્રિવેણી ભારતીય સભ્યતાનો આધાર છે. આ ત્રિવેણીને અવિરત જાળવી રાખવાનું આપણું દાયિત્વ છે. હજારો વર્ષની ભારતીય વિરાસત, જૈન ધર્મનું જ્ઞાન આગલી પેઢી સુધી પહોંચાડવા આપણા સંતોએ આ મ્યુઝિયમની સંકલ્પના કરવામાં આવી. આ સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય જૈન દર્શન અને પ્રાચીન વારસાનું પવિત્ર કેન્દ્ર બન્યું છે. હું સૌ જૈન મુનિનું અભિનંદન અને તેમના ચરણોમાં પ્રણામ કરું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિનામાં જ બીજીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન ગાંધીનગરના કોબા ખાતે આજે મહાવીર જયંતી નિમિત્તે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના આશીર્વાદ લીધા હતા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહાવીર જૈન આરાધના કેન્દ્રના પ્રમુખ સુધીર મહેતા(ટોરેન્ટ ગ્રુપના માલિક) સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન મોદીએ જય જિનેન્દ્ર…જય જિનેન્દ્રના જયઘોષ સાથે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, મહાવીર જયંતીના પાવન અવસરે મને અહીં આવવાની તક મળી. હું કોબા તીર્થથી દેશવાસીઓને મહાવીર જયંતીની શુભકામના આપું છું. હું આજે પરમપૂજ્ય આચાર્ય કૈલાશસાગર સૂરીશ્વરજીને યાદ કરું છું. તેમની પ્રેરણાથી આ મહાન તીર્થની સ્થાપના થઈ છે. અહીં મૂલ્યોનું સંરક્ષણ થાય છે, સંસ્કારને સંબલ મળે છે અને જ્ઞાનનું પોષણ થાય છે. આ ત્રિવેણી ભારતીય સભ્યતાનો આધાર છે. આ ત્રિવેણીને અવિરત જાળવી રાખવાનું આપણું દાયિત્વ છે. જે જ્ઞાન મળે એ સમ્યક હોય, સમ્યક હોય તો સમતા અને સેવાનો આધાર હોય છે. આ મ્યુઝિયમમાં ભારતની સૌથી મોટી વિશિષ્ટતાના દર્શન થાય છે. ભારતની વિવિધતા અને એકતા તાકાત છે. મત, મજહબ અને આસ્થાના નામે દુનિયાએ ટકરાવ જોયો છે. વેદ, પૂરાણ, આયુર્વેદ, યોગ વિવિધ પરંપરાનો રંગ એક સાથે ઇન્દ્રધનુષની જેમ ઉપસ્થિત હોય એ ભારતમાં જ શક્ય બને. આજે વિશ્વ જે રીતે અસ્થિરતા અને અશાંતિની આગમાં દાઝી રહ્યું છે ત્યારે આ મ્યુઝિયમનો સંદેશ પૂરી માનવતા માટે મહત્વપૂર્ણ છે. દુનિયાના દેશોમાંથી આવનારા જીજ્ઞાસુની સંખ્યા વધે એવો પ્રયાસ કરવો જોઇએ.
વડાપ્રધાન મોદીએ ઉદબોધનમાં જણાવ્યું કે, ભારતમાં જ્ઞાન હંમેશથી મુક્ત પ્રવાહ રહ્યો છે. ઋષિઓ અને મુનિઓનો અવતાર રહ્યા છે. કલ્પના કરો એક સમયે આપણાં તક્ષશિલા, નાલંદા જેવા વિશ્વાલય લાખો ગ્રંથો અને પાંડુલિપિઓથી ભરેલો રહેતો હતો. પરંતુ વિદેશી આક્રમણકારીઓએ જ્ઞાનને પણ દુશ્મન માનીને સળગાવી દીધું, માનવતાનો વારસો નષ્ટ થઈ ગયો છે. આઝાદી પછી તેને શોધવા અને સંભાળવા દેશની જવાબદારી હોવી જરૂરી હતી. પરંતુ ગુલામી માનસિકતાને કારણે કોઈએ ધ્યાન ન આપ્યું. આચાર્ય પદ્મસાગર સુરીશ્વરજી જેવા મહારાજોએ તેનું મહત્વ સમજ્યું અને જીવન સમર્પિત કરી દીધું.
સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે, જૂની સરકારોએ પાંડુલિપિઓની જે ઉપેક્ષા કરી ભૂલ કરી હતી તેને અમે સુધારીએ છીએ. અમે જ્ઞાન ભારતમ મિશન શરૂ કર્યું છે. આ કામમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. આ મિશન હેઠળ પ્રાચીન પાંડુલિપિઓનું સંરક્ષણ કરીએ છીએ. આ રવિવારે મન કી બાતમાં ઉલ્લેખ કર્યો કે, આ દિશામાં એક સર્વે કરવામાં આવ્યો છે. દેશભરમાંથી લોકો પાંડુલિપિઓને ઓનલાઇન અપલોડ કરી રહ્યા છે. દેશના ખૂણે ખૂણામાંથી લિપિઓ, તાડપત્રો આજે કોબામાં સુરક્ષિત અને સંકલિત થયા છે. આ ભારતના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની મોટી સેવા છે.
આ પ્રસંગે રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીએ જણાવ્યું કે, આજે મહાકલ્યાણક વર્ષ છે. વ્યસ્ત હોવાછતાં પ્રધાનમંત્રીએ સમય આપીને અમારી પ્રસન્નતાને વધારી છે. દેશનું સદભાગ્ય છે કે, ચારિત્રવાન, નિષ્ઠાવાન અને લક્ષ્ય લઈને ચાલતા એવા સુંદર વડાપ્રધાન મળ્યા એ પ્રજાનું સૌભાગ્ય છે. પ્રજાના ઉત્થાન માટે ખૂબ કર્યું છે અને કરશે. તેમનું જીવન અને સાદગી સમજવા જેવા છે. તેઓ અડધા સાધુ અને અડધા ગૃહસ્થ છે. વર્ષો પછી મળવાનું થયું છે.
વડાપ્રધાન યુદ્ધકાળમાં શાંતિનો સંદેશ આપનારા અને લોકોને સમજાવવા મદદ કરનારા છે. આજે સમય એટલો બદલાયો છે કે, આખી દુનિયા આપણને જુએ છે. આપણે ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા? આ વિકાસનો શ્રેય પ્રધાનમંત્રીને આપું છું. પ્રજાના હ્રદયમાં સ્થાન મેળવ્યું છે. હું શુભકામનાઓ અને આશીર્વાદ આપું છું.


