નેનો ટેકનોલોજી અને એનર્જી ઈજનેરીમાં પ્રવેશનો ક્રેઝ ઘટ્યો, મોટાભાગની બેઠકો ખાલી
અમદાવાદ, 26 જુન, 2026 : Admission craze in nanotechnology and energy engineering has decreased રાજ્યમાં ડિગ્રી એન્જિયરિંગની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા પ્રથમ રાઉન્ડની સીટની ફાળવણી કરી દેવામાં આવી છે. જો કે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લીધો હતો જેના કારણે 34 હજાર વિદ્યાર્થીઓને સીટ ફાળવવામાં આવી છે. જ્યારે એક તરફ પ્રથમ રાઉન્ડમાં જ સરકારી અને અનુદાનિત કોલેજોની તમામ બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે. આ વખતે નેનો ટેકનોલોજી અને એનર્જી એન્જિનિયરિંગની વિદ્યાશાખામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ક્રેઝ ઘટી ગયો છે. વિદ્યાર્થીઓ જ મળતા હોવાથી આ પ્રકારના કોર્સ બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
એસીપીસીના સૂત્રોના કહેવા મુજબ ડિગ્રી એન્જિનિયરિંગની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી તરફ નેનો ટેકનોલોજી અને એનર્જી એન્જિનિયરિંગ વિદ્યાશાખામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં રસ જોવા મળતો નથી. કોર્સ એડમિશન કમિટીના પ્રથમ રાઉન્ડના આંકડા મુજબ નેનો ટેકનોલોજીમાં કુલ 34 બેઠકો સામે માત્ર 4 વિદ્યાર્થીઓને જ પ્રવેશ ફાળવાયો છે. જ્યારે એનર્જી એન્જિનિયરિંગમાં 38 બેઠકો સામે માત્ર 8 વિદ્યાર્થીઓને ફાળવણી થઈ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગયા વર્ષે પણ નેનો ટેકનોલોજી અને એનર્જી એન્જિનિયરિંગ કોર્સમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નહતો. એટલે કે જે પણ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાંથી એક પણ બેઠક ભરાઈ નહતી. જો કે આ વર્ષે પણ અત્યાર સુધી એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી તેમજ એવી આશા છે કે આ વર્ષે પણ તમામ બેઠકો ખાલી રહી શકે છે. જેથી સંસ્થાઓ માટે નેનો ટેકનોલોજી અને એનર્જી એન્જિનિયરિંગ જેવા કોર્સ ચાલુ રાખવા મુશ્કેલ બની શકે છે.


