અંબાજી, 21 એપ્રિલ 2026: Darshan and ropeway service closed for two days at Gabbar Mountain યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પર લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતી કાલે તા. 22 એપ્રિલને બુધવારે અને 23 એપ્રિલને ગુરુવારે ગબ્બર પર્વત પર દર્શન અને રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. ગબ્બર પર્વત પર મધપૂડાની સંખ્યામાં વધારો થતા મધમાખીઓ અને ભમરાઓને ઉડાડવા માટે બે દિવસ તજવીજ હાથ ધરવામાં આવશે.
યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પર આવતી કાલે તા 22 અને 23 એપ્રિલના રોજ શ્રદ્ધાળુઓ માટે દર્શનની વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ રહેશે. ઉનાળાની સિઝનમાં ગબ્બર પર્વત પર મધપૂડાની સંખ્યામાં વધારો થતા યાત્રિકોની સુરક્ષા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગરમીના કારણે ગબ્બર પર્વત પર મધમાખીઓ અને ભમરા કરડવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. આ જોખમ ટાળવા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મધપૂડા હટાવવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. યાત્રિકોને કોઈ ઈજા કે મુશ્કેલી ન પડે તે હેતુથી આ બે દિવસ દરમિયાન ગબ્બર પર્વત પર ભાવિકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. મધપૂડા હટાવવાની આ કામગીરી દરમિયાન સલામતીના ભાગરૂપે ગબ્બર રોપવે સેવા પણ આ બે દિવસ માટે બંધ રાખવામાં આવશે.
મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે આવતી કાલથી બે દિવસ દરમિયાન યાત્રિકો ગબ્બરની મુલાકાતનું આયોજન ન કરે તેવી વિનંતી કરવામાં આવી છે.


