સુરેન્દ્રનગર, 20 એપ્રિલ 2026: Police arrest two people with 22 boxes of adulterated ghee શહેરમાં મહેતા માર્કેટ અને ટાંકી ચોક વિસ્તારમાં પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ દરોડો પાડીને અમુલ બ્રાન્ડના સ્ટિકરો લગાવીને વેચાતા ભેળસેળયુક્ત ઘીના 22 ડબ્બા સહિત કુલ 2.35 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે બે શખસોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ નાબૂદ કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત SOG PI બી.એચ. શીંગરખીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફૂડ અને ડ્રગ્સ વિભાગને સાથે રાખી સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે સૌપ્રથમ શહેરના મહેતા માર્કેટમાં આવેલી ‘હેત્વી સેલ્સ’ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં દુકાનદાર પ્રિતેષ હસમુખ લાલાણી (રહે. રતનપર) પાસેથી શંકાસ્પદ ઘીના 6 ડબ્બા મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો ટાંકી ચોક પાસે આવેલી ‘જે.સી. એન્ડ કંપની’ માંથી મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે જે.સી. એન્ડ કંપનીમાં તપાસ હાથ ધરતા ત્યાંથી ‘અનન્યા’ કંપનીના બોક્સમાં પેક કરેલા ‘અમૂલ પ્યોર ઘી હોલસેલ પેકેજ’ લખેલા વધુ 16 ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે આ સ્થળેથી સંચાલક રાજ જયેશ શકાણી અને જયેશ ચંદુલાલ શકાણીની અટકાયત કરી હતી.
એસઓજી પોલીસે પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે ભેળસેળયુક્ત ઘીનો આ જથ્થો અમદાવાદની નારાયણી એન્ટરપ્રાઇઝ પાસેથી મંગાવવામાં આવ્યો હતો. હાલ પોલીસે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની તપાસ તેજ કરી છે. SOG દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વિસ્તારમાં નકલી કે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. આ સફળ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ અને SOG ટીમનો સ્ટાફ જોડાયો હતો.


