
- આંબાઓ પર સારોએવો મોર બેસતા ખેડૂતોમાં હરખ
- કોઈ કૂદરતી આફત ન આવે તો આ વખતે કેરીનું મબલખ ઉત્પાદન થશે
- ઠંડીમાં વધારો થવાથી આંબાઓ મ્હોરી ઊઠ્યા
ભાવનગરઃ ગુજરાતમાં આ વખતે વધુ ઠંડી પડતા તેમજ વાતાવરણ સાનુકૂળ રહેતા વલસાડથી લઈને ગીર પંથક તેમજ ભાવનગરના ગોહિલવાડ પંથકમાં કેરીના આંબાઓ પર સારાએવા મોર બેઠા છે. એટલે ઉનાળામાં કેરીનું મબલખ ઉત્પાદન થશે. એટલે સસ્તાભાવે કેરી મોજભરીને આરોગી શકાશે.
ફળોનાં રાજા ગણાતા કેરીના આંબાઓ સમયસર”મ્હોરી ઉઠ્યા છે. ભાવનગર જિલ્લાના તળાજા પંથકના બાગાયતકાર ખેડૂતોમાં આ વર્ષે કેરીનુ ઉત્પાદન સારું એવું થવાની આશા બંધાઈ છે. આ વર્ષે દિવાળી પછી શિયાળો થોડો મોડો બેસવાને કારણે સીઝન પ્રારંભે આંબાનાં મોર ખુબજ પાંખા દેખાઈ રહ્યા હતા પરંતુ ડિસેમ્બરના બીજા પખવાડિયામાં કડકડતી ઠંડી શરૂ થતા મોટાભાગના આંબાઓ પર મ્હોર બેસવા લાગતા એકાદ માસ બાદ આંબાઓ પર ઉપર મ્હોર આવી ગયા છે. અને આવતા દિવસોમાં મહોરવાનું પ્રમાણ વધશે.જો વાતાવરણ સાનુકૂળ રહેશે તો આ વર્ષે કેસર સહિત તમામ પ્રકારની કેરીઓનો ખુબ જ સારો ઉતારો મળશે તેમ બાગાયતકારોનુ માનવું છે.
ભાવનગરના તળાજા પંથકમાં સોસીયા, ભાંખલ, મણાર, ગોરખી દાઠા વિસ્તાર ઉપરાંત જેસર,અયાવેજ ગામોની આંબાવાડીઓની કેસર કેરીના પ્રગતિશીલ બાગાયતકારો ઘણા વર્ષોથી વ્યાપારી ધોરણે આંબાવાડીઓ વિકસાવે છે. જેઓ માટે અનિયમીત વાતાવરણ પડકાર રૂપ છે.કેરીની મુખ્યત્વે દોઢથી બે માસની સિઝનમાં પહેલા જ રાઉન્ડમાં કેરીનો ઉચ્ચ ગુણવત્તાવાળો ફાલ મેળવનારા ખેડૂત ન્યાલ થઇ જાય છે. આમ એકંદરે આંબાઓ પર સમયસર મ્હોર આવવા લાગતા તળાજા પંથકના બાગાયતદારો આ વર્ષે સારા એવા કેરીના પાકની આશા સેવી રહ્યાં છે.
જિલ્લાના બાગાયતદારોના કહેવા મુજબ કેસર કેરીનુ સફળ ઉત્પાદન કરી આર્થિક ફાયદો મેળવવા આંબાની બારમાસી માવજત જરૂરી છે. ગુણવત્તા સભર કેસરના ઉત્પાદન માટે લેવાતી કાળજીમાં આંબાઓના ખામણાંને ગોડ કરવા, બાગ સાફ સુથરો રાખવો, સમય સમય પર મ્હોર પર નિરીક્ષણ કરતુ રહેવું, જરૂર લાગે તો જંતુનાશક દવાનો છંટકાવ કરવો, પોષણ માટે ફળ બેસવા લાગતા જ દેશી ખાતરનો ડોઝ આપવો, યોગ્ય સમયે જરૂર પ્રમાણે સિંચન કરવું જરૂરી છે.