અમદાવાદ, 5 જુલાઈ, 2026 : Textbooks for Standards 8 to 12 are not available. રાજ્યમાં ઉનાળાના વેકેશન બાદ શૈક્ષણિક સત્ર શરૂ થયાને દિવસો વિત્યા છતાંયે ધોરણ 8થી 12ના અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત અને ઉર્દુ સહિત અન્ય માધ્યમોના પુસ્તકો વિદ્યાર્થીઓને મળતા નથી. જો કે ગુજરાતી માધ્યમના પુસ્તકો વિદ્યાર્થીઓને મળી ગયા છે. પણ અંગ્રેજી સહિત અન્ય માધ્યમોના પાઠ્ય પુસ્તકોની અછત જોવા મળી રહી છે.
રાજ્યમાં ઉનાળાના વેકેશન બાદ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયાને 25 દિવસથી વધુ સમય થયો હોવા છતાંયે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ધોરણ 8થી 12માં ગુજરાતી માધ્યમ સિવાયના અન્ય માધ્યમના પાઠ્યપુસ્તકો હજુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા નથી. ઉપરાંત ધોરણ 1થી 8માં પણ કેટલાક વિષયોના પુસ્તકોની અછત જોવા મળી રહી છે. રાજ્યના એક ડઝનથી વધુ જિલ્લાઓમાં અન્ય માધ્યમના વિદ્યાર્થીઓ પુસ્તકોના અભાવે અભ્યાસમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.
રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના અધિકારીઓએ આ વિલંબ માટે બે મુખ્ય કારણો દર્શાવ્યા છે. પ્રથમ, વૈશ્વિક યુદ્ધ જેવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે કાગળ સહિતના કાચા માલની ઉપલબ્ધતા અને સપ્લાય ચેઇન પર અસર થઈ. બીજું, પાઠ્યપુસ્તકોના છાપકામ માટેની ટેન્ડર પ્રક્રિયા અંગે કોર્ટમાં ચાલેલા કેસના ચુકાદામાં વિલંબ થતાં છાપકામનું કામ સમયસર શરૂ થઈ શક્યું નહીં. જેના કારણે પુસ્તકોના છાપકામમાં અંદાજે ત્રણ મહિનાનો વિલંબ થયો હોવાનો મંડળના અધિકારીઓ દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે.
પાઠ્યપુસ્તક મંડળના અધિકારીના કહેવા મુજબ આગામી 10 દિવસમાં બાકી રહેલા તમામ પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. જોકે શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ પણ પુસ્તકો ન મળતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતા વ્યાપી છે. ખાસ કરીને અન્ય માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સમયસર અભ્યાસ શરૂ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.


