Homeગુજરાતીગુજરાતઅંજારના હિંગોરજા વાંઢના તળાવમાં ડૂબી જતા 5 બાળકોના મોતથી ગામ હિબકે ચઢ્યું

અંજારના હિંગોરજા વાંઢના તળાવમાં ડૂબી જતા 5 બાળકોના મોતથી ગામ હિબકે ચઢ્યું

  • મુસ્લિમ સમાજના 5 બાળકોનો જનાજો એક સાથે નિકળ્યો
  • તમામ બાળકો એક જ કુટુંબના હતા
  • રમઝાન માસમાં બનેલા બનાવથી મુસ્લિમ સમાજમાં દુઃખની લાગણી ફેલાઈ

ભૂજઃ કચ્છના અંજાર તાલુકાના દુધઈ ગામથી 5 કિમિ દૂર આવેલી હિંગોરજા વાંઢના 5 ભૂલકાઓ ઢોર ચરાવવા માટે ગયા હતા. જ્યા ભાવણીપુર નજીક ખરાડી તળાવમાં નહાવા પડતા પાંચેય બાળકો ડુબી જતા મોતને ભેટ્યા હતા. આ બનાવની આ વિસ્તારમાં ભારે ગમગીની પ્રસરી ગઈ હતી. પાંચેય મૃતક બાળકોની ભીની આંખે દફનવિધિ કરવામાં આવી હતી. અંજારનું હિંગોરજા વાંઢ ધ્રુસકે ચડ્યું હતું. પાંચ સંતાનોના એક સાથે જનાજો નીકળ્યો હતો. અંતિમવિધિમાં કચ્છભરમાંથી મુસ્લિમ સમાજના લોકો કાંધ આપવા પહોંચ્યા હતા.

આ બનાવની વિગત એવી હતી કે, કચ્છના અંજાર તાલુકાના દુધઈ ગામથી 5 કિમિ દૂર આવેલી હિંગોરજા વાંઢના 5 ભૂલકાઓ ઢોર ચરાવવા માટે ગયા હતા  નાની એવી વસાહતના પાંચ બાળકો પોતાની ભેંસો કાઢવા તળાવે પહોંચ્યા હતા. આ દરમિયાન નહાવા જતા કે લપસી પડતા દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. એક સાથે પાંચ બાળકોના અપમૃત્યુની ઘટાનાએ સમગ્ર કચ્છમાં અરેરાટી પ્રસરાવી દીધી હતી. જ્યારે તેઓના પરિવારો ઉપર આભ તૂટી પડ્યું છે. આ તમામ પાંચેય બાળકો એક જ કુટુંબના હતા. પવિત્ર રમઝાન માસમાં બનેલા આ ગોજારા બનાવથી સમગ્ર મુસ્લિમ સમાજમાં દુઃખની લાગણી ફેલાઈ છે. ગઈકાલે તમામના મૃતદેહો બહાર કાઢ્યા બાદ આજે અંતિમવિધિ યોજાઈ હતી, જેમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં દફનવિધિમાં હતભાહીઓને કાંધ આપવા જોડાયા હતા.

દૂધઈના ગ્રામજમોના કહેવા મુજબ  આજે સવારે 8.30 કલાકે હિંગોરજા વાંઢથી ધમડકા સુધી તમામ પાંચ હતભાગી બાળકોની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં અંદાજીત 1 હજારથી 1200 જેટલા લોકો દફનવિધિમાં સામેલ થયા હતા. લગભગ એક કિલોમીટર લાંબી યાત્રા જોવા મળી રહી છે. જે ધમડકા ગામના કબ્રસ્તાન ખાતે પહોંચીને વ્હાલસોયા બાળકોને આખરી વિદાય આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ કરુણ ઘટનામાં ભોગ બનેલા પાંચ બાળકો પૈકી જુસબ જાકબ હિંગોરજાનો 14 વર્ષીય પુત્ર મુસ્તાક એકનો એક સંતાન હતો.

સંબંધિત લેખો

Most Popular